જામનગર કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૧૦ પૈકી ૭ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું

જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ ૧૦ પૈકી ૭ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.સાથે સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેકટરએ પ્રયાસો કર્યા હતા.

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, પ્રોપર્ટી કાર્ડ મેળવવા અંગે, જમીન રિસર્વે ક્ષતિ સુધારણાને લગત પ્રશ્ન, ગ્રામસભા યોજવા બાબત, જૂથ પાણી પુરવઠા યોજનાને લગત પ્રશ્ન, રેશનકાર્ડને લગત પ્રશ્ન, રસ્તાના સમારકામ અંગે, દબાણ હટાવવાના પ્રશ્નો અંગે ચર્ચા કરી કલેક્ટરએ લગત વિભાગોના અધિકારીશ્રીઓને સકારાત્મક રીતે કામગીરી કરવા જણાવ્યું હતું.
અરજદારોએ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, અધિક નિવાસી કલેકટર શારદા કાથડ, લગત વિભાગના અધિકારીશ્રીઓ તથા અરજદારઓ ઉપસ્થિત રહ્યા હતા.