BREAKING NEWS

દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

  • August 05, 2026 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

એલસીબીની કાર્યવાહીમાં સાત આરોપીઓ ઝડપાયા; રૂ. 9.51 લાખનો મુદ્દામાલ જપ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થાનિક ગુનો શાખા (એલસીબી) પોલીસે દ્વારકા નજીક આવેલી ખાનગી કંપનીમાં થયેલી કોપર અને એલ્યુમિનિયમ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરીનો માલ, રોકડ રકમ, વાહન સહિત કુલ રૂ. 9.51 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, દ્વારકા તાલુકાના કુરંગા વિસ્તારમાં આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાંથી થોડા સમય પહેલાં અંદાજે રૂ. 6 લાખની કિંમતના આશરે 295 કિલોગ્રામ કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હતી. આ અંગે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન માહિતી મળી હતી કે કેટલાક શખ્સો ચોરીનો વાયર કેરી પીકઅપ વાહનમાં ભરી ખંભાળિયા પોરબંદર માર્ગ પરથી પસાર થવાના છે. બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી વાહનને અટકાવી તપાસ કરતાં તેમાં કોપર અને એલ્યુમિનિયમ વાયર મળી આવ્યો હતો. બાદમાં પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારીની આગેવાનીમાં આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. કંપનીમાંથી વાયર ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી.

આ કેસમાં પોલીસે રણજીત ઉર્ફે અન્ટી નાથાભાઈ વાઘેલા, વિજય ઉર્ફે વીજલો રાજુભાઈ વાઘેલા, રામ રાજુભાઈ સોલંકી, મનસુખ ઉર્ફે ટકો ઝવેરભાઈ સોલંકી, કરણ જયંતીભાઈ સોલંકી, અનિલ મનસુખભાઈ સોલંકી અને મહેશ ઉર્ફે મયલો નાનજીભાઈ વઢિયારની ધરપકડ કરી છે.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 270 કિલોગ્રામ કોપર વાયર, 90 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર, રૂ. 4.72 લાખની રોકડ, રૂ. 2 લાખની કિંમતનું મારુતિ કેરી પીકઅપ વાહન તેમજ વાયર કાપવાના સાધનો સહિત કુલ રૂ. 9,51,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓને વધુ કાર્યવાહી માટે ખંભાળિયા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ખંભાળિયા, વાડીનાર, મેઘપર, જૂનાગઢ, લાલપુર તથા ગોંડલ સહિતના પોલીસ મથકોમાં ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એમ.વી. સવસેટા તથા એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application