અરવિંદ મણિયારના પત્ની હંસિકાબેનના ખોળામાં માથુ રાખી અંજલિબેને હૈયાફાટ રૂદન કર્યું, રીવાબા, ગીતાબા અને વજુભાઈએ સાંત્વના આપી

  • June 17, 2025 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભામાં અરવિંદભાઈ મણિયારના પત્ની ઉપસ્થિત રહ્યા હતા. તેમના ખોળામાં માથુ નાખી અંજલીબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેમજ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજા પણ અંજલીબેનને ગળે લગાવી સાંત્વના પાઠવી હતી. ગોંડલના ધારાસભ્ય ગીતાબાને ભેટીને અંજલીબેન રડી પડ્યા હતા.  


રાજકોટના અરવિંદભાઈ મણીયાર RSS અને જનસંઘના પાયાના પથ્થરમાના એક હતા. રાજકોટમાં મોટી ટાંકી ચોકની અંદર ડેલામાં માંડવા નાંખી 11 લોકોએ જનસંઘની સ્થાપના કરી હતી. ચીમનભાઇ શુક્લની સુઝબૂઝથી કેશુભાઇ પટેલ, અરવિંદભાઇ મણિયાર, વજુભાઇ વાળાને તૈયાર કર્યા હતા. આમ એક પછી એક કાર્યકર તૈયાર થતા ગયા અને આખી પાર્ટી મજબૂત બની ગઇ. સંઘ પરિવારનું ગુજરાતમાં રાજકોટ એપી સેન્ટર હતું. ત્યાર બાદ 1975માં તેઓ રાજકોટના પ્રથમ મેયર બન્યા હતા. તેમજ 1977માં તેઓ જનસંઘમાંથી ધારાસભ્ય પણ બન્યા હતા.


મારા રાજકીય ઘડતરમાં રૂપાણીનો મોટો ફાળોઃ જયરાજસિંહ

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી માત્ર તેમના પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતને મોટી ખોટ પડી છે. વિજય રૂપાણી સાથેના તેમના સંબંધો નાના ભાઈ જેવા હતા અને રૂપાણીએ તેમને રાજકીય રીતે ઘડવામાં મોટો ફાળો આપ્યો હતો. તેમણે નાનામાં નાના કાર્યકર સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું હતું અને વિકાસના કામોને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં અગ્રતા આપી હતી. ખાસ કરીને ગોંડલ વિસ્તાર સાથે રૂપાણીને કુદરતી લગાવ હતો અને તેમના કાર્યકાળ દરમિયાન ગોંડલને અનેક વિકાસ કાર્યોની ભેટ મળી હતી.


જયરાજસિંહે રૂપાણી સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે ગોંડલ વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હંમેશા કાયમી રહ્યો હતો. તેમણે આ વાત વિજય રૂપાણીના ધ્યાને મૂકી હતી અને રૂપાણીએ એક મહિનાની અંદર સૌની યોજનાથી વેરી તળાવ ભરી દીધું, જે ગોંડલ માટે સૌથી મોટી ભેટ છે. જયરાજસિંહે કહ્યું કે વિજય રૂપાણીના શાસનમાં ગોંડલની પ્રજાનો પીવાના પાણીનો પ્રશ્ન કાયમ માટે ભૂતકાળ બની ગયો હતો. તેમણે ઉમેર્યું કે જ્યારે જ્યારે તેમને કે તેમના વિસ્તાર ગોંડલને મુશ્કેલી પડી છે, ત્યારે હંમેશા વિજય રૂપાણીએ ખભે ખભો મિલાવીને સાથ આપ્યો છે. વિજય રૂપાણીના જવાથી સૌએ એક મોભી ગુમાવ્યો છે. આ દુઃખ સહન કરવાની શક્તિ પરિવારને મળે તેવી પરમ કૃપાળુ પરમાત્માને મારી પ્રાર્થના છે.​​​​​​​


પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ અંજલિબેન રૂપાણીને સાંત્વના પાઠવી

ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પ્રાર્થનાસભામાં પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વજુભાઈએ રૂપાણી પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News