એક રાતમાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરી ગઢડાને ધમરોળી નાખ્યું, 14 ઈંચ વરસાદથી ઈતિહાસમાં રામઘાટ પહેલા વરસાદમાં જ ઓવરફ્લો

  • June 17, 2025 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઢડા(સ્વામીના) પંથકમાં ચોમાસાની સમયસર સારી શરૂઆત થતા સમગ્ર પંથકમાં સતત શરૂ રહેલા વરસાદના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વરસાદના કારણે મોટાભાગના ડેમ તેમજ નદીનાળાં છલકાઈ જતા સિઝનના પ્રથમ વરસાદે વર્ષો બાદ રેકોર્ડ સર્જ્યો હતો.


ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ચૌદ ઈંચ વરસાદ નોંધાયો

ગઢડા શહેર તેમજ સમગ્ર પંથકમાં ગત સાંજથી રાત્રિ દરમિયાન સતત વરસાદ શરૂ રહયો હતો. ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે મોટાભાગના નદીનાળાં, ચેકડેમો છલકાઈ જતા સતત પાણીનો પ્રવાહ શરૂ રહ્યો હતો. આ વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની જવા પામેલ છે. શ્રીકાર વરસાદના પગલે અને પાણીના સ્ત્રોત જીવંત બનતા ધરતીપુત્રોમાં આશાના સંચાર વચ્ચે આનંદની લહેર છવાઈ જવા પામી છે. ગઢડા શહેરમા ગત સાંજથી સવાર સુધીમાં ચૌદ ઈંચ વરસાદ નોંધાયો હતો. 


મોટાભાગના રસ્તાઓ બંધ

આ વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા મોટાભાગના રસ્તાઓ બંધ થઈ જતા એસ.ટી. સહિત વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ વરસાદમાં ઘેલો નદી સહિત કેટલીક જગ્યાએ નાના મોટા વાહનો સાથે ચાલકો ફસાવાની તથા તણાઈ જવાની ઘટના બનતા રેસકયુ કરી બચાવકાર્ય હાથ ધરાયું હતુ. વરસાદ દરમિયાન તકેદારીના ભાગરૂપે સરકારી તંત્ર સજજ થતા નિરિક્ષણ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વરસાદમાં પૂર જેવી જોખમી પરિસ્થિતિમાં સુરક્ષા માટે અવરજવર નહી કરવા તેમજ ઘરમાં રહેવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. 


એનડીઆરએફની ટીમ બોલાવવી પડી 

વધારે જાણવા મળતી વિગત અનુસાર સતત વરસાદના કારણે ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા નદિ નાળા ઓવરફ્લો થતાં અનેક ગામોના રસ્તાઓ થયા બંધ થઈ ગયા હતા. જેમાં ગઢડા થી નિંગાળા -રોહિશાળા, ઉગામેડી થી ઝીઝાવદર, પ્રહલાદગઢ થી રાજપીપળા, રાજપરાના પાટીયા થી હામાપર ગામ તરફ, બોડકી વનાળી અને ગઢાળી, ટાટમ થી ભીમડાદ રોડપર બાવળ પડતા રસ્તો બંધ, સમઢીયાળા - મોટી કુંડળ ભીમોરીમાના મંદિર પાસે નવુ બનેલ નાળા મા ગાબડું પડવા સહિતના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જયારે પીપળીયા ગામે પૂર જેવી સ્થિતિ ઉભી થવા એનડીઆરએફની ટીમ બોલાવવી પડી હતી. 


અનેક સ્થળોએ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર બળી ગયા

એક સાથે ધોધમાર વરસાદના કારણે ઉભી થયેલી કટોકટી જેવી પરિસ્થિતિમાં અનેક સ્થળોએ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર બળી જવાથી વીજ પુરવઠો વારંવાર અને લાંબા સમય સુધી ખોઈવાઈ જતા તંત્ર ઠપ્પ બની ગયુ હતુ. આ વીજ પુરવઠો નિયમિત કરવા માટે વીજ કંપનીના કર્મચારીઓ રાત્રિ - દિવસ સમારકામ માટે સક્રીય રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News