ડુંગળીના ભાવ કાબૂમાં લેવા સરકાર આજથી ‘કાંદા એક્સપ્રેસ’ દોડાવશે, એક વર્ષમાં ભાવ 45 ટકા વધ્યા

  • August 24, 2026 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં ડુંગળીના સતત વધી રહેલા ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે ફરી બજારમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર પોતાના બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારશે અને આજથી નાસિકથી દિલ્હી, ચેન્નઈ, કોચી અને ગુવાહાટી માટે ‘કાંદા એક્સપ્રેસ’ ચલાવશે. આ શહેરોમાં ડુંગળીના ભાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઊંચા હોવાથી ત્યાં પ્રથમ તબક્કામાં વધારાનો જથ્થો મોકલવામાં આવશે.


શનિવારે દેશમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ 42 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. આ ભાવ ગયા વર્ષની સરખામણીએ 45 ટકા અને માત્ર એક મહિનાની સરખામણીએ 19 ટકા વધુ છે. ભાવમાં ઝડપથી થયેલા આ વધારાને કારણે સરકારે બફર સ્ટોકમાંથી જથ્થો બહાર કાઢવાનો નિર્ણય લીધો છે.


ઉપભોક્તા બાબતોના વિભાગના આંકડા મુજબ દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. ગયા વર્ષે આ જ સમયે દિલ્હીનો ભાવ લગભગ 35 રૂપિયા પ્રતિ કિલો હતો. એટલે એક વર્ષમાં દિલ્હીમાં ડુંગળીના ભાવમાં લગભગ બમણો વધારો નોંધાયો છે.


ચેન્નઈમાં પણ ડુંગળી 58 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી, જ્યારે ગયા વર્ષે ત્યાં ભાવ 33 રૂપિયા પ્રતિ કિલો હતો. કેરળ અને આસામના કેટલાક વિસ્તારોમાં પણ ડુંગળીના ભાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચા હોવાનું સામે આવ્યું છે.


ભાવમાં આ અસમાનતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર નાસિકથી સીધી રેલ મારફતે જથ્થો મોકલશે. ‘કાંદા એક્સપ્રેસ’ દ્વારા મોટા જથ્થામાં ડુંગળી ઝડપથી અને ઓછા પરિવહન ખર્ચે માંગવાળા બજારો સુધી પહોંચાડવાનો સરકારનો પ્રયાસ છે.


સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ બફર સ્ટોકમાંથી ડુંગળી તબક્કાવાર અને નીચા ભાવે બજારમાં ઉતારવામાં આવશે. બજારમાં એકસાથે મોટો જથ્થો મૂકવાને બદલે જ્યાં ભાવ અસામાન્ય રીતે વધી રહ્યા છે તે બજારોને પ્રાથમિકતા આપવામાં આવશે.


સરકારને એવી શંકા પણ છે કે કેટલાક વેપારીઓ દ્વારા જથ્થો રોકીને અથવા કૃત્રિમ તંગી ઊભી કરીને ભાવ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો હોઈ શકે છે. આથી બજારમાં વધારાનો પુરવઠો મોકલી ભાવ પર સીધું દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.


અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી મહિનાઓની માંગ પૂરી કરી શકાય એટલો જથ્થો સરકાર અને ખેડૂતો બંને પાસે ઉપલબ્ધ છે. આથી ડુંગળીની વાસ્તવિક અછત કરતાં પુરવઠાના વિતરણ અને બજારના વર્તનને કારણે ભાવમાં વધારો થયો હોવાની શક્યતા વધુ માનવામાં આવી રહી છે.


ડુંગળીની સાથે ખાંડના ભાવ પણ વધ્યા છે. શનિવારે દેશમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ 62.50 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે એક મહિના પહેલાં તે લગભગ 46 રૂપિયા હતો. દિલ્હીમાં ખાંડ 65 રૂપિયા અને મુંબઈમાં 69 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી હતી.


જોકે ખાદ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાંડનો પણ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠાની કોઈ ગંભીર અછત નથી.


ઓક્ટોબર 2024માં પણ ચલાવાઈ હતી ‘કાંદા એક્સપ્રેસ’


ડુંગળીના ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે અગાઉ ઓક્ટોબર 2024માં પણ નાસિકથી દિલ્હી અને દેશના અન્ય ભાગો માટે ‘કાંદા એક્સપ્રેસ’ ચલાવી હતી. તે વખતે પણ બફર સ્ટોકમાંથી ડુંગળી મોટા બજારોમાં મોકલી ભાવ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


હવે ભાવ ફરી ઝડપથી વધતાં સરકારે એ જ મોડલ ફરી અપનાવ્યું છે. નાસિક દેશના સૌથી મોટા ડુંગળી ઉત્પાદન અને વેપાર કેન્દ્રોમાંથી એક હોવાથી ત્યાંથી સીધો જથ્થો મોટી ખપત ધરાવતા શહેરોમાં મોકલવાથી છૂટક બજારમાં ભાવ પર ઝડપી અસર થવાની અપેક્ષા છે.


ખરીફ ડુંગળીનું ઉત્પાદન ઘટ્યાની અસર


બજારના જાણકારોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં 5થી 7 ટકા સુધી ઘટાડો થવાની ચર્ચાએ પણ બજારમાં ભાવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.


ઉત્પાદન થોડું ઓછું રહેવાની શક્યતાને પગલે વેપારીઓએ આગામી મહિનાઓમાં પુરવઠો ઓછો રહેવાની ધારણા બાંધી છે. તેની અસર જથ્થાબંધ અને ત્યારબાદ છૂટક ભાવ પર જોવા મળી રહી છે.


સરકાર પાસે પૂરતો બફર સ્ટોક હોવાથી હાલ પુરવઠાની ગંભીર અછત સર્જાવાની શક્યતા ઓછી હોવાનું અધિકારીઓનું માનવું છે. સરકાર હવે બફર સ્ટોક અને ‘કાંદા એક્સપ્રેસ’ના જથ્થા દ્વારા બજારમાં પુરવઠો વધારી ભાવને કાબૂમાં લાવવાનો પ્રયાસ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application