જામનગરની ભાગોળેથી પકડાયેલા પાર્સલોમાંથી ૧૫૦૦થી વધુ કિલો માલ બીલ વગરનો નીકળ્યો..!
જીએસટી મોબાઇલ સ્કવોડે સ્પેરપાર્ટસનો મોટો શંકાસ્પદ જથ્થો પકડી પાડયો તો
વાહનચાલકને નોટીસની તજવીજ: સ્પેરપાર્ટસનો જથ્થો દીલ્હી મોકલવામાં આવ્યાનુુંં ખૂલ્યું
જામનગર નજીક જીએસટી મોબાઇલ સ્કવોડે દરોડો પાડી સ્પેરપાર્ટસનો મોટો શંકાસ્પદ જથ્થો પકડી પાડયો હતો. આ જથ્થા પૈકી ૧૫૦૦ કીલોથી વધુ માલ બીલ વગરનો હોવાનું ચકાસણી દરમ્યાન ખૂલતાી વાહનચાલકને નિયમ મુજબ નોટીસ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ આ માલસામાન મોકલનાર પેઢીઓ સુધી પહોંચવા પણ તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. જામનગરથી સ્પેરપાર્ટસનો જથ્થો દીલ્હી મોકલવામાં આવ્યાનું ખૂલ્યું છે.
જામનગરમાં જીએસટી કૌંભાડોના સીલસીલા વચ્ચે પાંચેક દીવસ પૂર્વે મોડીરાત્રીના જીએસટી મોબાઇલ સ્કવોડે ચેકીંગ દરમ્યાન રાત્રીના બે વાગ્યાની આસપાસ ખીજડીયા બાયપાસ ચોકડી પાસે માલ ભરેલા છોટા હાથી વાહનને રોકી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન વાહનમાં સામાન ભરેલા પાર્સલ શંકાસ્પદ જણાતા કબ્જે કરી જીએસટી કચેરીએ લાવી ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન અંદાજે ૫૦ થી વધુ પાર્સલ નીકળ્યા હતાં. આટલું જ નહીં આ પાર્સલમાં શું છે તેની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમ્યાન પાર્સલમાથી બ્રાસ, સ્ટીલ અને પિતળના સ્પેરપાર્ટસનો જંગી જથ્થો નીકળતા તમામ પાર્સલના વજન કરી સ્પેરપાર્ટસના આ શંકાસ્પદ પાર્સલો એટલે કે તેના નિયમ મુજબના જીએસટીના બીલ છે કે કેમ તે સહીતના મુદે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જીએસટી વિભાગની તપાસ દરમ્યાન આ તમામ સ્પેરપાર્ટસનો જથ્થો જામનગરથી દીલ્હી જતો હોવાનું ખૂલ્યું છે. આટલું જ નહીં ૧૫૦૦ કીલોથી વધુ સ્પેરપાર્ટસનો જથ્થો બીલ વગરનો હોવાની ચોંકાવનારી હકીકતો પણ ખૂલી છે.
આથી વાહનના ચાલકને નીયમ મુજબ નોટીસ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ બીલ વગર કંઇ કંઇ પેઢીઓએ વાહનમાં માલ મોકલ્યો તે સળગતો સવાલ ઉઠ્યો છે. આથી બીલ વગર માલ મોકલી જીએસટીની ચોરી કરનાર પેઢીઓના મૂળ સુધી પહોંચવા તપાસનો દૌર લંબાવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આથી બીલ વગર માલ મોકલી જીએસટીની ચોરી કરનાર પેઢીઓના માલીકો અને સંચાલકોમાં દોડધામ સાથે ફફડાટ મચી ગયો છે.