ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના સચિવાલય વહીવટી માળખામાં ફેરફાર કરતા ગુજરાત વહીવટી સેવા (GAS) વર્ગ-૧ (સિલેક્શન/સીનિયર સ્કેલ)ના ૧૩ ઉચ્ચ અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે.
મહત્ત્વના વિભાગો અને નિગમોમાં નવી નિમણૂકો
આ બદલી આદેશ મુજબ, ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશનના રજિસ્ટ્રાર વી. કે. પટેલને GIDC, ગાંધીનગરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગ્રિમકો (GRIMCO)ના એમડી એ.કે.પ્રજાપતિની બદલી કરીને તેમને નર્મદા-રાજપીપળા DRDAના નિયામક બનાવાયા છે. ભાવનગરના એડિશનલ કલેક્ટર ડી.એન.સતાણીને નાગરિક પુરવઠા નિયામક કચેરીમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે મુકાયા છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA)ના સીઈઓ જી.વી.મિયાણીને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના સચિવ બનાવવામાં આવ્યા છે. જ્યારે નર્મદા DRDAના નિયામક વાય.એસ.ચૌધરીને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન (TCGL)ના જોઈન્ટ એમડી તરીકે મુકવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્ય અને અન્ય કચેરીઓમાં ફેરબદલ
વલસાડ DRDAના નિયામક એ.કે.કાલસરિયાને ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ કમિશનરેટમાં OSD તથા એમ.આર.પ્રજાપતિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ બનાવવામાં આવ્યા છે. GSRTCના જનરલ મેનેજર કે.એસ. ડાભીને વલસાડના નિવાસી અધિક કલેક્ટર (RAC) અને અમરેલીના RAC ડી. એમ. ગોહિલને સ્થાનિક વિશ્લેષણ સમિતિ, સુરતના જોઈન્ટ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત, એસપીઆઈપીએ (SPIPA)ના ડેપ્યુટી ડિરેક્ટર એ.એ.ડોડિયાને અમરેલીના નવા નિવાસી અધિક કલેક્ટર બનાવાયા છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બી.આર.આહીર અને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીના OSD પી.સી.દવેની આંતરિક જગ્યાઓની અરસપરસ બદલી કરવામાં આવી છે. તેમજ કે.બી.પટેલને ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ કમિશનરેટમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.