દેવભૂમિ દ્વારકા: ભાણવડ ગ્રામ્ય પંથકમાં બે દિવસમાં ૧૩ સાપનું રેસ્કયુ
ચાર-ચાર કોબ્રા- પાયથન, બે ધામણને પકડી પ્રકૃતિમાં છોડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા ડુંગરની ગોદમાં વસેલા ભાણવડ પંથકમાં હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોવાથી વિખોડાયેલા અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવતા વન્યજીવો તથા સરીસૃપોને બચાવવા માટે એનિમલ લવર્સ ટ્રસ્ટની ટીમ રોજિંદા ધોરણે ખૂબ સક્રિય બની અવિરત રેસ્ક્યુ કામગીરી કરી રહી છે.
જેમાં ગત ૨૫ અને ૨૬ ઓગષ્ટના રોજ ત્વરિત કામગીરી હાથ ધરીને અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૧૩ જેટલા ઝેરી અને બિનઝેરી સરીસૃપોનું સફળ રેસ્ક્યુ કરી તેમને નવજીવન બક્ષ્યું છે. ભાણવડ પંથકમાં ચોમાસાના દિવસો દરમિયાન જુદા જુદા સંદેશાઓના આધારે એનિમલ લવર્સ ટીમ અને વન વિભાગની ટુકડીએ જુદા જુદા સ્થળો પરથી ક્રોબા નાગ, અજગર,પાયથન વગેરે સહિત ૧૩ સરીસૃપોનુ રેસ્કયુ કરવામાં આવ્યુ હતુ.
જે આ તમામ રેસ્ક્યુ ઓપરેશન ભાણવડ, ટીંબડી, ઘુમલી, મોટા કાલાવડ અને મેવાસા ગામોના વાડી, રહેણાંક તથા સુમસામ વિસ્તારોમાંથી હાથ ધરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં સરીસૃપો બહાર નીકળવાના બનાવો વધતા ટ્રસ્ટની ટીમ રોજિંદા ધોરણે રાત-દિવસ જોયા વગર ખડેપગે રહે છે.
એનિમલ લવર્સ ટ્રસ્ટ છેલ્લા ૧૬ વર્ષથી વન્યજીવોને બચાવવાની આ કામગીરી તદ્દન વિના મૂલ્યે કરી રહ્યું છે.જેમાં પણ દરેક સ્વયંસેવકો પોતાના ધંધા, નોકરી કે કામકાજની સાથે સાથે નિષ્ઠાપૂર્વક આ સેવા પ્રવૃત્તિમાં જોડાયેલા રહે છે.
આ સફળ રેસ્ક્યુ ઓપરેશનમાં ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટના નેતૃત્વમાં દૂદાભાઈ ભરવાડ, મેરામણભાઈ, વિજય ખુટી, વિશાલ ભરવાડ અને અક્ષય સૂચક તથા વન વિભાગમાંથી મુકુંદભાઈ સોઢા પણ સાથે જોડાયા હતા અને સક્રિય યોગદાન આપ્યું હતું. રેસ્ક્યુ કરાયેલા તમામ સરીસૃપોને પાછળથી સુરક્ષિત રીતે તેમના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
ચાર-ચાર કોબ્રા- પાયથન, બે ધામણના રેસ્કયુ કરાયા ચોમાસાના આ દિવસો દરમિયાન જુદા જુદા સ્થળેથી મળેલા સંદેશાઓના આધારે ટીમે ચાર કોબ્રા (નાગ), ૨ રેટ સ્નેક (ધામણ), એક ત્રિનકેટ (રૂપસુંદરી), એક કોમન સેન્ડ બોઆ (દરઘોઈ), એક રસલ્સ વાઇપર (ખળ ચિતળ) અને ચાર પાયથન (અજગર)નું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.