ઓસ્ટ્રેલિયાના સિડનીથી મળેલા અહેવાલો મુજબ, બહુરાષ્ટ્રીય મેન્યુફેક્ચરિંગ દિગ્ગજ કંપની થ્રી-એમ સામે ઓસ્ટ્રેલિયન સરકારે બે અબજ ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે રૂ.૧૩,૫૬૧ કરોડ)નો નુકસાનભરપાઈનો દાવો કર્યો છે. ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં કોઈપણ કંપની સામે સરકારે કરેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દાવો છે. અદાલતમાં રજૂ કરાયેલા ૧,૬૦૦થી વધુ પાનાના ગુપ્ત દસ્તાવેજો પરથી એવો સંતોષકારક ખુલાસો થયો છે કે કંપનીને વર્ષ ૧૯૭૩થી જ સ્પષ્ટપણે ખબર હતી કે તેના 'પીએફએએસ' યુક્ત અગ્નિશામક ઉત્પાદનો મનુષ્યો, પ્રાણીઓ અને સમગ્ર પર્યાવરણ માટે અત્યંત વિનાશકારી તથા ઘાતક છે. આટલી ગંભીર બાબત જાણવા છતાં, કંપની પોતાના ફાયદા માટે આ કેમિકલ્સને 'સુરક્ષિત', 'બાયોડિગ્રેડેબલ' અને 'નોન-ટોક્સિક' (ઝેરમુક્ત) ગણાવીને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરના આર્મી તથા સંરક્ષણ મથકોને વેચતી રહી હતી.આ ઝેરી કેમિકલ્સ કઈ રીતે માનવ શરીરને નુકસાન પહોંચાડે છે તે અંગે મુખ્ય ચાર ગંભીર જોખમો સામે આવ્યા છે. જેમાં આ કેમિકલ્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શરીરના મુખ્ય અંગો જેવાં કે કિડની અને લીવરને કાયમી નુકસાન થવાનું મોટું જોખમ રહેલું છે, આ ઝેરી તત્ત્વો કેન્સર જેવા અસાધ્ય રોગ નોતરે છે તેમજ માનવ શરીરની પ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) પર સીધી વિપરીત અસર કરે છે, પ્રજનન ક્ષમતા અને શિશુ વિકાસ: ગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભમાં રહેલા બાળકના શારીરિક તથા માનસિક વિકાસ પર આ રસાયણો અત્યંત પ્રતિકૂળ અને નુકસાનકારક પ્રભાવ પાડે છે, આ રસાયણો પર્યાવરણમાં કુદરતી રીતે સરળતાથી નષ્ટ થતા નથી અને સદીઓ સુધી હવા, પાણી તથા જમીનમાં જળવાઈ રહે છે, તેથી જ તેને વિજ્ઞાનની ભાષામાં 'ફોરએવર કેમિકલ્સ' (કાયમી રસાયણો) કહેવામાં આવે છે.પર-એન્ડ પોલીફ્લોરોઅલ્કાઇલ સબસ્ટેન્સનો ઉપયોગ માત્ર અગ્નિશામક ફોમમાં જ નહીં, પરંતુ આપણા રોજિંદા જીવનમાં વપરાતા નોન-સ્ટિક વાસણો, વોટરપ્રૂફ કપડાં, ફૂડ પેકેજિંગ મટીરીયલ, કોસ્મેટિક્સ (સૌંદર્ય પ્રસાધનો) અને અનેક ઘરગથ્થુ પ્રોડક્ટ્સમાં બહોળા પ્રમાણમાં થાય છે. ગંભીર ચિંતાની વાત એ છે કે આ ઝેરી રસાયણોની હાજરી હવે ભારતમાં પણ નદીઓ અને ભૂગર્ભ જળ (ગ્રાઉન્ડ વોટર) માં મળી આવી છે, જે ભવિષ્યમાં માનવ સ્વાસ્થ્ય માટે એક મોટા સંકટનો સંકેત આપી રહી છે.