એઆઈ-આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ સંપૂર્ણપણે નિષ્પક્ષતા જાળવી રાખે છે, પરંતુ લાયસન્સ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ પરંપરાગત પરીક્ષણ પદ્ધતિ કરતાં વધુ લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે. નાપાસ થનારા ઉમેદવારોની સંખ્યામાં થયેલા વિક્રમી વધારાને કારણે, ગુજરાતના મુખ્ય શહેરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નવા અરજદારોએ ખૂબ જ લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. અનેક મોટા શહેરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટના સ્લોટ માટેનો વેઈટિંગ સમય ૪૫ થી ૬૦ દિવસ સુધીનો છે. જ્યારે લાયસન્સ માટે ૬૦ દિવસ સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
જ્યારે મહેસાણા, પાટણ અને નાની આરટીઓ કચેરીઓમાં એક મહિના જેટલો વેઈટિંગ સમય જોવા મળે છે. લાંબી થતી જતી કતારોને કારણે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતે વધારાના ટેસ્ટિંગ ટ્રેકનું આયોજન કર્યું છે.
અમદાવાદના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે શહેરમાં દોઢ મહિનાથી એઆઈ-આધારિત ટેસ્ટ ટ્રેક કાર્યરત છે અને હાલમાં અરજદારોએ ફોર-વ્હીલર ટેસ્ટ માટે ૫૦-૫૫ દિવસ રાહ જોવી પડે છે.
શહેર વહીવટીતંત્ર સુભાષ બ્રિજ આરટીઓ ખાતે બીજા ટ્રેકનું આયોજન કરી રહ્યું છે, જેનાથી વેઈટિંગ સમય લગભગ અડધો થઈ જશે. સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, આ બીજો ટ્રેક આઠ મહિનામાં કાર્યરત થશે. અમદાવાદમાં ટેસ્ટિંગની ક્ષમતા વધારવા માટે અંતે ત્રણ એઆઈ-આધારિત ટેસ્ટ ટ્રેક બનાવવાની યોજના છે. હાલના ટ્રેક પર દરરોજ ૧૬૦-૧૮૦ ટુ-વ્હીલર અને ૧૦૦-૧૧૦ ફોર-વ્હીલરના ટેસ્ટ લેવામાં આવે છે, પરંતુ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'રી-ટેસ્ટ' (ફરીથી લેવાતા ટેસ્ટ)ની વધતી જતી સંખ્યાને કારણે કામનું ભારણ વધી રહ્યું છે.
અમદાવાદમાં એઆઈ-આધારિત પરીક્ષણ પદ્ધતિ શરૂ થયાના એક મહિનામાં, હળવા મોટર વાહન (એલએમવી)ના લાયસન્સ માટે અરજી કરનારા 80 ટકા ઉમેદવારો પરીક્ષામાં નાપાસ થયા હતા. જ્યારે ટુ-વ્હિલર માટે અરજી કરનારાઓમાં 30 ટકા ઉમેદવારો નાપાસ થયા હતા. ફોરવ્હિલ વાહનોની પરીક્ષામાં નાપાસ થનારાઓમાં લગભગ 80 ટકા કિસ્સાઓ 'પેરેલલ પાર્કિંગ' (સમાંતર પાર્કિંગ)ને કારણે હતા. બીજી તરફ, ટુ-વ્હિલરોની પરીક્ષામાં સંતુલન જાળવી ન શકવું અને પગ જમીન પર મૂકી દેવો એ નાપાસ થવાના મુખ્ય કારણો હતા.
અધિકારીઓએ અરજદારોની અપૂરતી તૈયારી અને પ્રદર્શન વીડિયોઝ પ્રત્યે બેદરકારીને જવાબદાર ઠેરવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમસ્યા રાજ્યભરમાં છે.
રાજકોટમાં ટેસ્ટ માટેનો રાહ જોવાનો સમયગાળો (વેઈટિંગ પિરિયડ) ૧૫-૨૫ દિવસથી વધીને ૪૫-૫૧ દિવસ થઈ ગયો છે. આરટીઓ ઇન્ચાર્જ આર. એમ. રવલિયાએ જણાવ્યું હતું કે લાંબી પ્રક્રિયાવાળા ટેસ્ટ અને ફરીથી ટેસ્ટ આપનારા (રી-ટેસ્ટ) ઉમેદવારોની વધતી સંખ્યા આ વિલંબ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે ઉમેદવારોની સફળતાનો દર ઘટીને ૨૦-૨૨ ટકા થઈ ગયો છે. તેમણે ઉમેર્યું કે ડ્રાઇવિંગ-ટેસ્ટ માટેના વધારાના ટ્રેકનું નિર્માણ કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું, નવો ટ્રેક ત્રણ મહિનામાં કાર્યરત થઈ જવાની અપેક્ષા છે.
સુરતના એક આરટીઓ અધિકારીએ કહ્યું, અગાઉ ટેસ્ટ માટે રાહ જોવાનો સમયગાળો એક અઠવાડિયું હતો. હવે એઆઈ ટ્રેક આવ્યા પછી તે ૩૫-૪૫ દિવસ થઈ ગયો છે. અધિકારીએ જણાવ્યું કે સુરતને ટૂંક સમયમાં મસ્મા ખાતે વધુ એક ટ્રેક મળશે. વડોદરામાં, સરેરાશ રાહ જોવાનો સમયગાળો અગાઉના લગભગ ત્રણ અઠવાડિયાથી વધીને લગભગ બે મહિના સુધી પહોંચી ગયો છે. શહેરના એક આરટીઓ અધિકારીએ કહ્યું, એઆઈ સિસ્ટમ અમલમાં આવ્યા પછી ઘણા લોકો કાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થઈ રહ્યા છે. તેથી, અમારી પાસે નવી અરજીઓ ઉપરાંત ફરીથી ટેસ્ટ આપવા માટેની અરજીઓ પણ આવી રહી છે. વડોદરા આરટીઓ ખાતે દરરોજ ૯૦ થી ૧૦૦ લોકો કાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે.