રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલા વ્યસ્ત છત્રી બજાર વિસ્તારમાં હડકાયા શ્વાનનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. અહીંની ધોળેશ્વર શેરીમાં છેલ્લા ૧૫ દિવસથી એક હડકાયું શ્વાન સ્થાનિક લોકોને નિશાન બનાવી રહ્યું હોવાથી સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. તાજેતરમાં જ એક નિર્દોષ વ્યક્તિ પર હડકાયા શ્વાને હુમલો કરીને ગંભીર રીતે બચકા ભર્યા હોવાની કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે, જેના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. શ્વાનના આ વધી રહેલા ત્રાસને કારણે નાના બાળકો હવે ઘરની બહાર નીકળતા પણ સરેઆમ ડરી રહ્યા છે.
View this post on Instagram
A post shared by Aajkaal (@aajkaaldaily)
ધોળેશ્વર શેરીમાં આધેડ પર જીવલેણ હુમલો, ૧૦ જગ્યાએ બચકા ભર્યા
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, છત્રી બજારની ધોળેશ્વર શેરીમાં રહેતા વસીમભાઇ યુસુફભાઇ પરીયાણી નામના વ્યક્તિ જ્યારે પસાર થઈ રહ્યા હતા, ત્યારે હડકાયા શ્વાને તેમના પર ઓચિંતો અને અત્યંત ક્રૂર હુમલો કરી દીધો હતો. શ્વાને વસીમભાઇના શરીર પર એક-બે નહીં પરંતુ અલગ-અલગ ૧૦ જેટલી જગ્યાએ અત્યંત ગંભીર રીતે બચકા ભરી લીધા હતા. આ હુમલાને પગલે લોહીલુહાણ થયેલા વસીમભાઇને બૂમાબૂમ થતાં આસપાસના લોકોએ મહામહેનતે બચાવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તંત્રને જાણ કરવા છતાં ઉદાસીનતા, લોકોની તાકીદે શ્વાન પકડવાની માંગ
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ ગંભીર સમસ્યા અંગે જસદણ નગરપાલિકાના સત્તાધીશોને થોડા સમય પહેલાં જ લેખિત અને મૌખિકમાં જાણ કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સમગ્ર વિસ્તારના લોકો હવે એકસૂરે માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં ભમી રહેલા ૩ થી ૪ આક્રમક શ્વાનોને તાકીદે પાંજરે પૂરવામાં આવે. જો નગરપાલિકા દ્વારા આ હડકાયા શ્વાનોને તાત્કાલિક પકડી પાડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અન્ય નિર્દોષ નાગરિકો કે નાના બાળકો તેનો ભોગ બનશે તેવી ગંભીર ભીતિ સેવાઈ રહી છે.