અમેરિકાની જેમ જ હવે કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જનારા ગુજરાતી વિદ્યાર્થીઓમાં સતત નિરાશા વ્યાપી રહી છે. કેનેડા જઈને ભણવાનું સ્વપ્ન જોનારા લાખો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે છેલ્લું વર્ષ અત્યંત નિરાશાજનક સાબિત થયું છે.
આંતરરાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર સંસ્થાના તાજેતરના અહેવાલ અનુસાર, કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પરમિટ આપવામાં અચાનક 50%નો ઘટાડો કર્યો છે. વર્ષ 2024માં જ્યાં 1,88,255 ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી હતી, તેની સામે વર્ષ 2025ના પ્રથમ સાત મહિનામાં માત્ર 52,765 પરમિટ જ આપવામાં આવી છે. આગામી આખા વર્ષનો અંદાજિત આંકડો 90,454ની આસપાસ રહેવાની શક્યતા છે, જેનો અર્થ એ છે કે વર્ષ 2023ની સરખામણીમાં 67.5%નો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કેનેડા જવા માટે આતુર હોય છે. વાલીઓ પોતાના બાળકોનું ભવિષ્ય સુવિધા સંપન્ન દેશમાં બને તે માટે લાખો રૂપિયા ખર્ચીને કોચિંગ,વિઝા પ્રોસેસિંગ અને એપ્લિકેશનમાં મોટું રોકાણ કરે છે. પરંતુ આ વર્ષે કેનેડા સરકારના વલણને કારણે તેમના સપના પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે.
રિપોર્ટમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન તમામ દેશોની કુલ 1,43,485 અરજીઓ પ્રોસેસ થઈ હતી, જેમાંથી 1,04,980 નવી અરજીઓ હતી. જોકે, આમાંથી માત્ર 31,580 અરજીઓને જ મંજૂરી મળી છે. આ આંકડા દર્શાવે છે કે વિઝા અપ્રુવલ રેટ ઘટીને માત્ર 30% રહ્યો છે, જે ગત વર્ષે 51% હતો.
આની સીધી અસર હવે વિદ્યાર્થીઓની સંખ્યા પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જાન્યુઆરી 2024માં કેનેડામાં 10,23,785 એક્ટિવ સ્ટડી પરમિટ ધરાવતા વિદ્યાર્થીઓ હતા, જે જુલાઈ 2025 સુધીમાં ઘટીને 7,85,830 થઈ ગયા છે. આમ, કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં 23.2%નો મોટો ઘટાડો નોંધાયો છે. કેનેડા જવાનું સપનું સેવતા ગુજરાતી વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખરેખર મોટી ચિંતાનો વિષય છે.