BREAKING NEWS

ગીરના સિંહો પર મોટું સંકટ: 80 હજાર પશુઓ, 1.08 લાખ જંગલી કૂતરાઓ વધારી રહ્યા છે CDVનો ખતરો!

  • June 01, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રના ગીર અને આસપાસના વિસ્તારોમાં એશિયાટિક સિંહોના તાજેતરના 13 મોતને લઈને ચિંતા વધી છે. નિષ્ણાતોના મતે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) અને બેબેસિયોસિસ નામની બે ગંભીર બીમારીઓ મોત પાછળનું કારણ હોઈ શકે છે. આ વચ્ચે પશુપાલન વિભાગના સર્વેમાં ખુલાસો થયો છે કે ગીર સિંહ વિસ્તાર ધરાવતા ચાર જિલ્લાઓમાં ફેરલ (રખડતા) કૂતરાઓની સંખ્યા ગાય-બળદ કરતા વધુ છે.


અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ગુજરાતના લગભગ 95 ટકા એશિયાટિક સિંહો વસે છે. આ વિસ્તારોમાં આશરે 1.08 લાખ જંગલી કૂતરાઓ છે, જે સીડીવી વાયરસના મુખ્ય વાહક માનવામાં આવે છે. બીજી તરફ, આ જ વિસ્તારોમાં લગભગ 80,050 રખડતા પશુઓ પણ છે, જેમના શરીર પર રહેલા ટિક્સ (ચીચડ) બેબેસિયોસિસ ફેલાવે છે.


વન્યજીવન નિષ્ણાત અને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના પૂર્વ સભ્ય એચ.એસ. સિંહે જણાવ્યું કે આ ચાર જિલ્લાઓમાં 22.9 લાખ ઘરેલુ પશુઓ પણ છે. તેમણે જણાવ્યું કે ગીર અભ્યારણ્યની અંદર ફેરલ કૂતરાઓ કે પશુઓ નથી, પરંતુ અભ્યારણ્યની બહાર આ સમસ્યા ગંભીર બની રહી છે. સરકારની સિંહ સંરક્ષણ યોજના હેઠળ લગભગ 1.9 લાખ ફેરલ પ્રાણીઓના નિયંત્રણ અને રોગ વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપવું જરૂરી બન્યું છે.


વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નિષ્ણાતોએ જણાવ્યું કે ભારતમાં કૂતરાઓમાં સીડીવી સામાન્ય છે અને મુક્તપણે ફરતા કૂતરાઓ વન્યજીવો માટે જોખમરૂપ બની શકે છે. 2018ના સીડીવી પ્રકોપ બાદ પ્રકાશિત સંશોધન પત્રમાં પણ આ ચેતવણી આપવામાં આવી હતી.


વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ગીર વિસ્તારમાં બેબેસિયોસિસના કેસો સમયાંતરે જોવા મળે છે, પરંતુ જ્યારે આ બીમારીથી નબળા બનેલા સિંહો સીડીવીના સંપર્કમાં આવે છે ત્યારે મૃત્યુદર વધી શકે છે. હાલમાં સરકાર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંહોની વસાહત વધારવા પ્રયત્ન કરી રહી છે, ત્યારે 3.07 લાખ ફેરલ કૂતરાઓ અને મોટી સંખ્યામાં રખડતા પશુઓ એક મોટો પડકાર બની રહ્યા છે.


નિષ્ણાતોના મતે હવે માત્ર સિંહોના રહેઠાણનું સંરક્ષણ પૂરતું નથી, પરંતુ પર્યાવરણમાં ફેલાતી બીમારીઓ સામે રક્ષણ પણ એટલું જ મહત્વપૂર્ણ બન્યું છે. સિંહોની વધતી સંખ્યા અને વિસ્તરતા વિસ્તારમાં સક્રિય રોગ નિરીક્ષણ અને નિયંત્રણ ભવિષ્યમાં એશિયાટિક સિંહોના અસ્તિત્વ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application