બોલિવૂડમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી કોઈનાથી છુપી નથી. એક સમયે બંને રિલેશનશિપમાં હતા. જો કે અહેવાલો અનુસાર, બંનેનો સંબંધ વર્ષ 2002માં ખતમ થઈ ગયો હતો. તેમના બ્રેકઅપને લઈને ક્યારેય કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. વર્ષ 2025માં, ઐશ્વર્યા રાયના મોડેલિંગના દિવસોમાં તેમની સાથે કામ કરી ચૂકેલા એડ ફિલ્મ નિર્માતા પ્રહલાદ કક્કરે તેમના બ્રેકઅપ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે મુશ્કેલ સમયમાં તેમણે ઐશ્વર્યાનો સાથ આપ્યો હતો. પ્રહલાદ કક્કરે જણાવ્યું કે, સલમાન ખાન સાથેના બ્રેકઅપ બાદ ઐશ્વર્યા રાયનો બોલિવૂડ પરથી ભરોસો ઉઠી ગયો હતો. તેમના જણાવ્યા અનુસાર, ઐશ્વર્યાને લાગતું હતું કે ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ સલમાન ખાનનો સાથ આપશે અને તેને એકલી પાડી દેવામાં આવશે.
"મેં તે મુશ્કેલ સમયમાં માત્ર ઐશ્વર્યાનો સાથ આપ્યો અને તેને કહ્યું હતું કે આ બાબતની ચિંતા ન કર. પરંતુ ઐશ્વર્યા વારંવાર ઇન્ડસ્ટ્રીની વાત કરતી હતી. તેને સૌથી વધુ એ વાતનું દુઃખ હતું કે તેને લાગતું હતું કે બોલિવૂડ સલમાન ખાનનો સાથ આપશે અને તેને એકલી છોડી દેશે. તેને એવું લાગ્યું કે તેની સાથે દગો થયો છે. જોકે, આખરે એ સંબંધનો અંત આવવો તેના માટે એક મોટી રાહત સાબિત થયો. સલમાન ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવનો હતો.
પ્રહલાદ કક્કરે આગળ જણાવ્યું કે, "ઐશ્વર્યા બ્રેકઅપથી એટલી દુઃખી નહોતી, જેટલી એ વાતથી હતી કે ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકોએ સલમાન ખાનનો સાથ આપ્યો, તેનો નહીં. સત્ય તેની સાથે હતું. તેનો ઇન્ડસ્ટ્રી પરથી ભરોસો ઉઠી ગયો કારણ કે ત્યાં નિષ્પક્ષ વ્યવહાર નહોતો થઈ રહ્યો. જો ભૂલ તેની હોત અને સામે પક્ષની ન હોત, અથવા તો બંને સાથે સમાન વ્યવહાર કરવામાં આવ્યો હોત, તો વાત અલગ હતી. પરંતુ એવું કંઈ ન થયું, બધું જ પૂરેપૂરું એકતરફી હતું.
પ્રહલાદ કક્કરે એ પણ સ્પષ્ટ કર્યું કે ઐશ્વર્યા રાયે તેમને પોતાની અંગત જિંદગી વિશે કંઈ જણાવ્યું નહોતું. તેમણે કહ્યું, "તેણે મારી સાથે કંઈ શેર કર્યું નહોતું. મને એટલે ખબર હતી કારણ કે અમે એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. તે બિલ્ડિંગના લોબી એરિયામાં હંગામો કરતો હતો અને દીવાલ પર માથું પછાડતો હતો. મારું માનવું છે કે તેમનો સંબંધ સત્તાવાર રીતે ખતમ થયો તેના ઘણા સમય પહેલા જ તૂટી ચૂક્યો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનો સંબંધ વર્ષ 2002માં ખતમ થઈ ગયો હતો અને ત્યારબાદ બંનેએ ક્યારેય સાથે કામ કર્યું નથી. વર્ષ 2012માં સિમી ગ્રેવાલને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ પોતાના બ્રેકઅપ વિશે વાત કરતા કહ્યું હતું કે, "હું એ સમયને સંપૂર્ણપણે પાછળ છોડી ચૂકી છું. હું એ વિશે કોઈ પણ રીતે વાત કરવા નથી માંગતી.