રાજકોટમાં સમૂહલગ્નમાં 28 યુગલોને રઝળતા મૂકી ફરાર થનાર મુખ્ય આરોપી ચંદ્રેશ છાત્રોલાની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. ચંદ્રેશ છાત્રોલાએ સમૂહલગ્નનું આયોજન કરી વર અને કન્યા પક્ષ બન્ને પાસેથી લાખો રૂપિયા લીધા હતા. અંદાજે 60 લાખ રૂપિયા સાથે ચંદ્રેશ છાત્રોલા લઈ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાએ ઘણા સમય પહેલા કથાકાર મોરારી બાપુ અને પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી પણ દાન લીધું હતું. ત્રણથી ચાર વર્ષ પહેલા મોરારી બાપુ પાસેથી પણ 1.51 લાખનો ચાંદલો લીધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીઓએ સમૂહલગ્નનું આયોજન નહીં પરંતુ અનેક યોજના હેઠળ સીસીમાં ઉતારી નાણાં ખંખેરવાનું કારસ્તાન રચ્યું હતું. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાએ આગવા કલાકારોને પણ સીસામાં ઉતાર્યા હતા અને દુબઈ ટૂરના નામે નાણાં ઉઘરાવ્યા બાદ ટૂર પણ કાઢી નહોતી.
ગૃહ રાજ્યમંત્રીએ આ ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમૂહલગ્નના આયોજકો બરોબર લગ્નના સમયે લગ્ન સ્થળ છોડી ભાગી છૂટ્યા હતા, જેના કારણે અનેક લોકો દીકરાની જાન લઈને પહોંચ્યા હતા અને અનેક લોકો પોતાની દીકરીને લગ્ન વિધિ માટે તૈયાર હતા. આયોજકોએ દીકરીઓની આસ્થા અને આકાંક્ષાઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયોજકો પર ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થશે અને રાજકોટ પોલીસના સૌથી સોશિયલ ઉદાહરણ સામે આવ્યું છે. ઘટના બાદ કોન્સ્ટેબલથી લઈને ડીસીપી સુધીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસે છ લગ્ન કરાવ્યા હતા.
આ કેસમાં છેતરપિંડી અને ગુનાહિત બેદરકારી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. ચંદ્રેશ છત્રોલા સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણ શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. ગુનો નોંધાયેલા આરોપીઓમાં ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ, દિપક હિરાણી, હાર્દિક શિશાંગિયા, મનીષ વિઠ્ઠલાપરા અને દિલીપ વરસંડાનો સમાવેશ થાય છે. પોલીસે મનીષ વિઠ્ઠલાપરા, દિલીપ ગોહિલ અને દિપક હિરાણીની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech