ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓના આશ્રિતો પૈકી રહેમરાહે નિમણૂક મેળવનાર વર્ગ-3 અને વર્ગ-4ના પાત્ર કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો દરવાજો ખોલવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.
મુખ્ય મુદ્દાઓ અને શરતો નક્કી કરવામાં આવી છે.જે કર્મચારીઓ નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવાયેલા હતા પરંતુ જેમને રહેમરાહે નિમણૂક મળી છે, તેવા પાત્ર કર્મચારીઓ હવે જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકશે.
તમામ રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને આ લાભ આપોઆપ મળશે નહીં. આ માટે નિયત શરતોને આધીન વિભાગીય ચકાસણી કરવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પાત્ર કર્મચારીઓએ ઠરાવ પ્રસિદ્ધ થયાના ત્રણ મહિનાની અંદર સંબંધિત વિભાગ કે કચેરીમાં અરજી કરવાની રહેશે. સમયમર્યાદા ચૂકી જનાર કર્મચારીઓ આ લાભથી વંચિત રહી શકે છે.
આ અરજી મળ્યા બાદ કચેરી દ્વારા કર્મચારીના સેવા રેકોર્ડ અને નિમણૂકને લગતી વિગતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. પાત્રતા મંજૂર થયા બાદ જ જૂની પેન્શન યોજના પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
કર્મચારીઓમાં ખુશીની લહેર
વર્ષોથી જૂની પેન્શન યોજનાની માગણી કરી રહેલા રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓ માટે સરકારનો આ નિર્ણય એક મોટી રાહત સમાન સાબિત થયો છે. આ નિર્ણયના અમલીકરણથી નિવૃત્તિ બાદ કર્મચારીઓ અને તેમના પરિવારને આર્થિક સુરક્ષા મળવાનો નવો માર્ગ મોકળો થયો છે.