BREAKING NEWS

વોડાફોન આઇડિયાને મોટી રાહત: દિલ્હી હાઇકોર્ટે રિફંડ અટકાવવા બદલ ઇનકમ ટેક્સ વિભાગને આકરા શબ્દોમાં ફટકારી

  • August 25, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી હાઈકોર્ટે કર રિફંડના કેસોમાં ઇનકમ ટેક્સ (આવકવેરા) વિભાગના નકારાત્મક વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાના બાકી નીકળતા રિફંડને રોકી રાખવા બદલ આવકવેરા વિભાગને આકરી ફટકાર લગાવી છે. આ સાથે જ હાઈકોર્ટે રેવેન્યુ વિભાગને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કંપનીને વ્યાજ સહિત રૂ. 53.09 કરોડનું રિફંડ વહેલી તકે ચૂકવી દેવામાં આવે. જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ રજનીશ કુમાર ગુપ્તાની ડિવિઝન બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં આ રકમ કંપનીના ખાતામાં જમા થઈ જવી જોઈએ. જો નિર્ધારિત સમયમર્યાદામાં પૈસા જમા નહીં થાય, તો વિભાગે વૈધાનિક વ્યાજ ઉપરાંત દર મહિને 1 ટકા વધારાનું વ્યાજ ચૂકવવું પડશે.

આ સમગ્ર વિવાદ આકારણી વર્ષ 2003-04 થી 2013-14 વચ્ચેના ટેક્સ રિફંડ સાથે સંકળાયેલો છે. વોડાફોન આઇડિયાએ ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં લગભગ એક દાયકા સુધી લાંબી કાનૂની લડાઈ લડી હતી. એપ્રિલ 2024 થી ફેબ્રુઆરી 2025 વચ્ચે ટ્રિબ્યુનલે કંપનીના પક્ષમાં અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા હતા. જેના આધારે અસેસિંગ ઓફિસરે રિફંડની રકમ 53.09 કરોડ રૂપિયા નક્કી કરી હતી. આમ છતાં, વિભાગે કંપનીને રિફંડ આપવાને બદલે ફોર્મ 26B ભરવાની જીદ પકડી રાખી હતી અને જૂની રૂ. 924.57 કરોડની બાકી લેણી રકમનો હવાલો આપીને અરજી ફગાવી દીધી હતી.


જોકે, સુનાવણી દરમિયાન સામે આવ્યું હતું કે વિભાગ દ્વારા દર્શાવાયેલી બાકી રકમમાંથી રૂ. 913.66 કરોડની વસૂલાત પર વિવિધ અદાલતો દ્વારા અગાઉથી જ સ્ટે (રોક) આપવામાં આવેલો હતો. હાઈકોર્ટે આ વલણ સામે સખત વલણ અપનાવતા કહ્યું કે જ્યારે એપેલેટ ઓથોરિટી દ્વારા રિફંડનો આદેશ જારી કરવામાં આવે છે, ત્યારે તે કરદાતાનો કાયદેસરનો હક બની જાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ 245 મુજબ યોગ્ય કાનૂની આદેશ વિના કોઈ પણ રિફંડ રોકી કે એડજસ્ટ કરી શકાય નહીં.


​​​​​​​હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે આવકવેરા વિભાગનું આવું વલણ ભારે દંડને પાત્ર છે, પરંતુ હાલ પૂરતો દંડ ફટકારવામાં આવ્યો નથી. આ ચુકાદો અન્ય કરદાતાઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હવે જૂના ટીડીએસ વિવાદોમાં કરદાતાઓને પોતાના જ નાણાં પાછા મેળવવા માટે બિનજરૂરી કાનૂની ગૂંચવણોનો સામનો કરવો પડશે નહીં. કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના માત્ર વહીવટી નિયમોના નામે નક્કી થયેલું રિફંડ રોકવું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application