રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના ખેડૂતો માટે લાંબા સમય બાદ ભારે રાહતના સમાચાર સામે આવ્યા છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વિંછિયા તાલુકાના છ ગામોની ખેતીની જમીનના 7/12 ના ઉતારામાંથી ઈકો સેન્સિટિવ ઝોન અંગેની નોંધ દૂર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિક ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને વહીવટી અડચણોમાંથી મુક્તિ મળવાનો માર્ગ મોકળો થયો છે.
સરકારના આ નિર્ણયથી ખાસ કરીને હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાળા અને ભોયરા એમ છ ગામોના ખેડૂતોને સીધો મોટો ફાયદો થશે. અગાઉ 7/12 ના દસ્તાવેજોમાં ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હોવાને કારણે ખેડૂતોને પોતાની જમીન પર વિવિધ ખેતી વિષયક વિકાસકામો કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે આ નોંધ હટી જતાં ખેડૂતો પોતાની જમીનમાં સિંચાઈ માટે નવો કૂવો ખોદવા, બોરવેલ બનાવવા કે અન્ય જરૂરી સુધારા-વધારા સહેલાઈથી કરી શકશે.
રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ બાબતે સક્રિયતા દાખવી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને ગ્રામજનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોને સાંભળીને સ્થળ પર જ ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ સાથે જ હિંગોળગઢ અભયારણ્યની સુરક્ષા અને ખેડૂતોના પાકને વન્યજીવોથી બચાવવા માટે અભયારણ્યની ફરતે મજબૂત દીવાલ બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે. આગામી સમયમાં ખેડૂતો કુવો ખોદવા સહિતની કામગીરી કરી શકશે.