સાંઢિયા પુલ પાસે પોલીસ દ્વારા એકાએક જ બેરિકેડ લગાવી દેવામાં આવતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રેલનગર અને શીતલ પાર્ક તરફથી આવતા લોકોને સામી બાજુ જવા માટે લાંબો લાંબુ અંતર કાપવુ પડતુ હોય ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. આ મુદ્દે સ્થાનિકોએ એકઠા થઈને હલ્લાબોલ કર્યો હતો અને રસ્તા પર જ બેસીને રામધૂન શરૂ કરી દીધી હતી. મામલો બિચકતાં મોડી રાત્રે પોલીસે બેરિકેડ દૂર કર્યા હતાં.
સાંઢિયા પુલ આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક નિયમનના ભાગરૂપે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર બેરિકેડ મૂકીને રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન
ગઈકાલે સાંજના સમયે ટ્રાફિક જામની સ્થિતિ વધુ વણસતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસની આ કામગીરી સામે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ રસ્તા પર જ બેઠક જમાવી દીધી હતી અને સરકાર તેમજ પોલીસ તંત્રને જગાડવા માટે રામધૂન બોલાવવાનું શરૂ કર્યું હતું. સ્થાનિકોનો આરોપ હતો કે, કોઈ પણ આગોતરા આયોજન કે વૈકલ્પિક વ્યવસ્થા વિના જ પોલીસે મનસ્વી રીતે બેરિકેડ લગાવી દીધા હતા, જેનાથી સામાન્ય જનતા હેરાન થઈ રહી છે.
સ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસે નમતું જોખ્યું હતું અને મોડી રાત્રે જ તમામ બેરિકેડ હટાવીને રસ્તો પૂર્વવત ખુલ્લો કરી દીધો હતો. બેરિકેડ હટતા જ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને મામલો થાળે પડ્યો હતો.