ઉત્તરાખંડમાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે ચારધામ યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર સ્યાનાચટ્ટી નજીક અચાનક પહાડ તૂટી પડતાં ભયાનક ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થયું હતું. રસ્તા પર કલાકો સુધી અગણિત ટન કાદવ અને પથ્થરોનો કાટમાળ જમા થઈ જતાં હાઇવે સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો, જેને કારણે ચારધામ યાત્રાએ નીકળેલા અંદાજે ૧૦૦ જેટલા શ્રદ્ધાળુઓ વચ્ચે રસ્તે જ ફસાઈ ગયા હતા.
SDRF ની ટીમોએ મોરચો સંભાળ્યો
ઘટનાની જાણ થતાં જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની બડકોટ અને જાનકીચટ્ટી પોસ્ટની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રસ્તો સંપૂર્ણ નાશ પામ્યો હોવાથી, જવાનોએ પ્રથમ વૈકલ્પિક પહાડી માર્ગ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મજબૂત રસા (દોરડા) બાંધ્યા હતા. ત્યારબાદ ભારે વરસાદ અને પથ્થરો પડવાના જોખમ વચ્ચે, એક-એક શ્રદ્ધાળુને અત્યંત સાવચેતીપૂર્વક દોરડાના સહારે ઊંડી ખીણ અને કાટમાળ વચ્ચેથી સલામત રીતે રસ્તો ક્રોસ કરાવ્યો હતો.
તમામ 100 મુસાફરો સુરક્ષિત
SDRF ના જીવ સટોસટના ઓપરેશન બાદ તમામ ૧૦૦ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢીને આગળના ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવ્યા છે. પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલા વરસાદને કારણે યમુનોત્રી માર્ગ પર ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સ્થાનિક પ્રશાસને દેશભરમાંથી આવતા તમામ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને હવામાન વિભાગની આગાહી અને રસ્તાની સ્થિતિ જાણીને જ યાત્રા આગળ વધારવા ખાસ અપીલ કરી છે.