ગાંધીનગરના સેક્ટર-થ્રીડી વિસ્તારમાં રહેતી અને શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતી ૨૮ વર્ષીય મહિલા કોન્સ્ટેબલે પોતાના જ ઘરે પંખા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક કોન્સ્ટેબલ રાત્રિની ડ્યુટી પૂરી કર્યા બાદ પોતાના ઘરે પરત ફર્યા હતા અને આત્યંતિક પગલું ભરી લીધું હતું. હાલમાં આ ગંભીર મામલે સેક્ટર-સાત પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, 28 વર્ષીય જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા છે. જો કે આટલી નાની વયે અને પોલીસ વિભાગ જેવી ગંભીર નોકરી સાથે જોડાયેલા મહિલા કર્મચારીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સેક્ટર-થ્રીડી ખાતે રહેતાં જ્હાનવીબેન અનિલભાઈ ડાભી અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ગઈકાલે ૧૪ સપ્ટેમ્બરે રાત્રે તેઓ પોતાની નાઈટ ડ્યુટી સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગાંધીનગર સ્થિત પોતાના ઘરે પાછા આવ્યા હતા અને આરામ કરવા ગયા હતા.
મોડી રાત સુધી જ્હાનવીબેન રૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોને શંકા ગઈ હતી. આશંકાના આધારે પરિવારજનોએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જ પ્રત્યુત્તર કે પ્રતિસાદ સાંપડ્યો ન હતો. આથી ગભરાઈને આસપાસના લોકોની મદદથી દરવાજો ખોલી અંદર જઈને તપાસ કરતાં જ્હાનવીબેન રૂમના પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી શંકાસ્પદ અને મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને કાયદેસરની પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ૨૮ વર્ષીય જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચૂક્યા હતા અને સોશિયલ મીડિયા પર તેમના સારા એવા ફોલોઅર્સ પણ હતા.
આટલી નાની વયે અને પોલીસ વિભાગ જેવી ગંભીર નોકરી સાથે જોડાયેલા મહિલા કર્મચારીએ આ પ્રકારનું અંતિમ કેમ પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ અને રહસ્યમય છે. હાલ તો સેક્ટર-૭ પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધણી કરીને આગળની તપાસ આદરી છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો, નજીકના મિત્રો અને સહકર્મીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવી શકશે.