અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોભીયાણા ગામે લગ્નના વરઘોડા દરમિયાન પથ્થરમારાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવને કારણે ગામમાં થોડાક સમય માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનામાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.
યુવકે થોડા દિવસો અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ, ગામના એક યુવકે થોડા દિવસો અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નને લઈને યુવતીના પરિવારજનોમાં અસંતોષ હતો. આજે યુવકનો વરઘોડો ગામમાં ધામધૂમથી નીકળ્યો હતો ત્યારે યુવતીના પરિવારજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં બોલાચાલી થઈ હતી, પરંતુ બાદમાં મામલો ઉગ્ર બનતાં બે જૂથો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતાં પથ્થરમારો શરૂ થયો હતો.
ભાવેશભાઈ ભીલ નામના યુવકને ગંભીર ઇજા
આ પથ્થરમારામાં ભાવેશભાઈ ભીલ નામના યુવકને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ તબક્કે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા, પરંતુ તબીબોએ સ્થિતિ ગંભીર જણાતા તેમને અંતે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલમાં તેમની સારવાર ચાલુ છે.
બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી
ઘટનાની જાણ થતા જ ડુંગર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક મોભીયાણા ગામે પહોંચી હતી અને બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસ દ્વારા ગામમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે જેથી વધુ અનિચ્છનીય બનાવો અટકાવી શકાય. હાલ ગામમાં તણાવપૂર્ણ પરંતુ નિયંત્રિત સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે જયવીર ગઢવી (એએસપી)એ જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગ દરમિયાન સર્જાયેલા વિવાદને કારણે પથ્થરમારાની ઘટના બની છે. ઘાયલોના નિવેદનો તેમજ બંને પક્ષોના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને અફવાઓથી દૂર રહેવા સૂચના આપી છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.