જૂની સાંકળી ગામના ખેડૂતોએ વીજ પાવર પૂરતો ન મળતા Pgvcl કચેરીએ આવેદનપત્ર આપ્યું
જૂની સાંકળી ગામના ખેડૂતોએ વીજ પાવર પૂરતો ન મળતા Pgvcl કચેરીએ આવેદનપત્ર આપ્યું
August 20, 2026 10:48 AM
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામના ખેડૂતો વીજ પાવર પૂરતો ન મળતો હોવાની ફરીયાદ સાથે આજે પીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપી આઠ કલાક વીજ પાવર આપવા અને કોઈ ફોલ્ટ સર્જાય તો યોગ્ય જવાબ આપવાની માંગ કરી હતી. સૌરાષ્ટ્રમાં વરસાદની ખેંચને કારણે પાકના પિયત માટે ખેડૂતોને અત્યારે બોર, કુવાના પાણી સિવાય છૂટકો નથી. અને તે માટે જોઈએ પૂરતો વીજ પાવર પરંતુ જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામના ખેડૂતોને પૂરતી વીજળી જ મળતી નથી તે ફરીયાદ લઈને સો જેટલા ખેડૂતો જેતપુર સ્થિત પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતાં. અહીં ખેડૂતોએ પીજીવીસીએલ અધિકારીને એક આવેદનપત્ર આપી પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે, હાલ વરસાદ નથી એટલે અમારે ફરજીયાત બોર, કુવાનું પાણી પિયત માટે વાપરવું પડે છે. પરંતુ પીજીવીસીએલ દ્વારા અમોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવતી નથી. દરરોજ પાવરમાં ફોલ્ટ સર્જાય છે અને તે ફોલ્ટની ફરીયાદ લખાવવા માટે ફોન કરીએ તો કોઈ ફોન જ નથી ઉપાડતું અને જો ભૂલથી ફોન ઉપડી ગયો તો તેમાં લાઈનમેન ફોલ્ટ રીપેર કરવા માટે નીકળી જ ગયા છે તેવું ખોટું બોલે છે વાસ્તવમાં પાંચથી છ કલાક થાય તો પણ વીજળી આવતી જ નથી અંતે ખેડૂત હારી થાકીને રાત્રીના બાર, એક, બે વાગ્યે ઘરે ચાલ્યો જાય છે. અને પાક પિયત વગરનો રહી જાય છે. એક તો મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને મોંઘી મજૂરી બાદ ઉપરથી વરસાદ ન હોય તેમાં પાકને પિયત માટે બોર, કુવાના પાણી માટે પણ પૂરતી વીજળી ન મળે તો ખેડૂત મૌલાતને જીવતી કઈ રીતે રાખી શકે ? આવી હૈયાવરાળ અંતે ખેડૂતોએ પૂરતી વીજળી તેમજ ફોલ્ટ સર્જાય તો યોગ્ય અને સાચો જવાબ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ફોટો તસ્વીર હિતેષ સાવલીયા જેતપુર