મહુવા તાલુકાના બગદાણાના નવનીતભાઈ મોડીરાત્રીના વર્નાકારનો પીછો કરી રહ્યા હતા. ત્યારે મોણપર સીમમાં કારમાં આવેલા શખ્સોએ નવનીતભાઈને આંતર્યા હતા અને પાઈપ, ધોકાના ઘા ફટકારી બાઈક અને મોબાઈલની તોડફોડ મચાવી હતી. જેનો વીડિયો પણ વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી. તો લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે હુમલો કરાવ્યાના આક્ષેપ થયો હતો.
કોળી સમાજના નેતાઓ પોલીસ મથક પહોંચ્યા હતા
સમગ્ર ઘટનાને લઈ રાજકીય ગરમાવો આવ્યો છે. અને કોળી સમાજના નેતાઓ પોલીસ મથક પહોંચ્યા હતા, જ્યારે નવનીતભાઈને મહુવા ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મોટી સંખ્યામાં લોકો ઉપટી પડયા હતા.સમગ્ર વિવાદ વચ્ચે બગદાણા પોલીસ મથકના મહિલા પીઆઈ ડાંગરની બદલી લીવ રિઝર્વમાં કરી દેવામાં આવી હતી. પીઆઈની બદલી ખાતાકિય પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતું. મહુવા તાલુકાના બગદાણામાં રહેતા નવનીતભાઈ બાલધીયા ગત તા. ૨૯ના રોજ મોડી રાત્રીના સુમારે એક વર્ના કારનો પીછો કરી રહ્યા હતા ત્યારે મોણપર ગામની સીમમાં નવનીતભાઈને આંતરી બે કારમાં આવેલા આઠ શખ્સોએ તેના પર હિચકારો હુમલો કરી આડેધડ ધોકા-પાઈપના ઘા ઝીક્યા હતા. જ્યારે નવનીતભાઈને મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કોળી સમાજ મેદાને
આ હુમલાની ઘટનામાં આઠ સામે બગદાણા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ઈજાગ્રસ્ત નવનીતભાઈએ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે તેના પર હુમલો કરાવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. પરંતુ પોલીસની તપાસમા તેની ભુમીકા સામે આવી ન હતી. જેના પગલે મામલો ગરમાયો હતો. કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં મહુલા હોસ્પિટલ ખાતે ઉમટી રહ્યા છે. અને રાજુલાના ધારાસભ્ય, મહુવાના ધારાસભ્ય સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમગ્ર મામલે વિવાદ વકર્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ બગદાણા પોલીસ મથકના મહિલા પીઆઈ ડાંગરની બદલી લીવ રિઝર્વમાં કરી ખાતાકિય પ્રક્રિયાના ભાગરૂપે બદલી કરવામાં આવી હોવાનું જણાવી હાલ સી.એસ.મકવાણાને ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું ઉમેર્યું હતું.