જ્યારે વાત આવે તીખાશની ત્યારે ગોંડલનું મરચું સૌ કોઈને યાદ આવે.. મરચાની સીઝન શરૂ થતા જ લોકો ગોંડલીયા મરચાની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે. જોકે આ જ મરચાના વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વરસાદે ગોંડલના ખેતરોમાં વિનાશ વેર્યો છે.
ગોંડલીયું મરચું સંપૂર્ણપણે બરબાદ થયું
તીખાશમાં ઉત્તમ ગણાતું ગોંડલિયા મરચાએ ખેડૂતોને રોવડાવી દીધા છે. કમોસમી વરસાદથી ગોંડલ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દેશભરમાં પ્રખ્યાત ગોંડલીયા મરચાનો પાક કમોસમી વરસાદે પાક નિષ્ફળ ગયો છે. ગોંડલ તાલુકાના ગામમાં મોટા પ્રમાણમાં મરચાનું વાવેતર થાય છે. અહીં ઉત્પન્ન થતું મરચું દેશને અલગ અલગ રાજ્યમાં જતું હોય છે.ખાસ કરીને ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ અને મસાલા કંપનીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે મરચાનો ભાવ વધારે રહે તેવી શક્યતા છે. ગોંડલ તાલુકાના ત્રાકુડા, ડૈયા, અનિડા, કોલીથડ, વેજાગામ, હડમતાળા, વેકરી, ચરખડી, પડવલા સહિત અન્ય ગામમાં ગોંડલીયું મરચું સંપૂર્ણપણે બરબાદ થયું છે..
સરકાર પાસે ખેડૂતોએ સહાયની માંગ કરી
ગોંડલ પંથકમાં મરચાનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે. જેમાં ખાસ કરીને સાનિયા મિર્ચી, ઘોલર મરચું, પટો મરચું, કાશ્મીરી મરચું સહિતની વિવિધ જાતોની મરચાની વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે. આ મરચાંના ઉત્પાદન માટે ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે પડેલા કોમસોમી વરસાદના કારણે મરચાનો પાક ખેતરમાં જ સડી ગયો છે. ત્યારે હવે ખેડૂતો માટે દવા બિયારણ મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે. કેટલાક ખેતરોમાં તો પરપ્રાંતિય શ્રમિકો દ્વારા ખેતીનું મજૂરી કામ ભાગમાં રાખવામાં આવતો હોય છે ત્યારે આવા શ્રમિકો માટે પણ હવે રડવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂત હોય કે શ્રમિક હવે ક્યાં છે અને શું કરવું તેમની ચિંતા તેમને સતાવે છે. ખેડૂતોએ દવા અને ખાતર પાછળ હજારો રૂપિયા ખર્ચ્યા હતા, પણ હવે ઉપજની આશા રહી નથી. ગોંડલ તાલુકાના ખેડૂતોએ સરકારને વિનંતી કરી કે તાત્કાલિક વીમા સહાય મળે અને આગામી સિઝન માટે બીજ તેમજ ખાતરની સહાય આપવામાં આવે..