BREAKING NEWS

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી; જાણો શું છે સમગ્ર મામલો

  • August 24, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય મુશ્કેલીઓ વધુ જટિલ બની છે. ગુજરાત હાઇકોર્ટે તેમની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે અરજદારને અગાઉ ચોક્કસ જામીન શરતોના પાલનની ખાતરી પર છોડવામાં આવ્યા હતા, તેમ છતાં તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયા છે. આવી સ્થિતિમાં જામીન આપવાથી સામાન્ય જનતામાં એવી ગેરસમજ ઊભી થાય છે કે સત્તા કે હોદ્દો ધરાવતી વ્યક્તિઓ કાયદાની સજામાંથી સરળતાથી બચી જાય છે.

આ સમગ્ર વિવાદ જંગલ જમીન અને વળતર બાબતે વન વિભાગના અધિકારી પર થયેલા કથિત હુમલા સાથે જોડાયેલો છે. નર્મદા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે સરકારી અધિકારીને ઘરે બોલાવીને માર મારવા, ધમકી આપવા અને હવામાં ગોળીબાર કરવા અંગે આઈપીસીની કલમ ૧૪૩, ૧૪૧, ૧૪૯, ૧૮૬, ૨૯૪, ૩૫૩, ૩૮૬ અને આર્મ્સ એકટની કલમ પચ્ચીસ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં નર્મદાની નીચલી કોર્ટે ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કુલ નવ આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યાર બાદ ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા અને તેઓ છેલ્લા બે મહિનાથી જેલમાં બંધ છે.

અગાઉ કોર્ટમાં રજૂ કરાયેલા બચાવ પક્ષના પક્ષ મુજબ, જંગલની ખાલી જમીનમાં સ્થાનિક ગ્રામજનોએ કપાસનું વાવેતર કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ આ જગ્યા ખાલી કરાવીને સમાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો, જેથી નુકસાનના વળતર માટે ગ્રામજનોએ ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો. ચૈતર વસાવાએ વન અધિકારીઓ સાથે બેઠક યોજી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના દબાણથી આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો દાવો કરાયો હતો.

બીજી તરફ, ફરિયાદી અને પોલીસ પક્ષના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય ચૈતર વસાવાએ વન અધિકારીઓને ગાળો આપી હાથપગ તોડી નાખવાની ધમકી આપી રૂ.૬૦ હજારના વળતરની માંગણી કરી હતી. આ દરમિયાન પોતાના નિર્માણાધીન મકાનમાંથી રિવોલ્વર મગાવીને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. મારપીટ અને ધમકીના ડરથી વન કર્મચારીઓએ પોતાના એટીએમ ખાતામાંથી રકમ ઉપાડીને ખેડૂતોને ચૂકવી આપી હતી. હાઇકોર્ટના આ આકરા આદેશ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા માટે જેલવાસમાંથી તુરંત મુક્તિ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application