રાજકોટ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ થઇ ચૂકી છે અને ગુજરાત રાજ્ય વિધાનસભાના સત્રનું પણ સમાપન થઇ ચૂક્યું છે. દરમિયાન મનપાઓની ચૂંટણીની આગામી તા.૨થી ૪ એપ્રિલ વચ્ચે ગમે ત્યારે જાહેરાત થાય તેવી પ્રબળ સંભાવના છે, તદ્ઉપરાંત તા.૨૮થી ૩૦ એપ્રિલ વચ્ચે મતદાન થાય તેવી શક્યતા છે. મે મહિનામાં નવી બોડી શાસનધુરા સંભાળી લેશે.
વિશેષમાં વિશ્વનીય રાજકીય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ વખતે બેથી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે તેવી ચર્ચા છે. પ્રથમ તબક્કામાં મનપાઓ, બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતો અને ત્રીજા તબક્કામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે તેમ મનાય રહ્યું છે. આગામી તા.૩૧ માર્ચના રોજ પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ ખાતે તેમનો કાર્યકમ હોય તે પૂર્ણ થયા બાદ ૨૪થી ૪૮ કલાકમાં ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા છે.
યુવા ચહેરાઓઓ સાથે ભાજપ અમુક ચુનંદા સિનિયરોને પણ ચૂંટણી લડાવશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપએ હજુ સુધી ઉમેદવારોની પસંદગીનો ક્રાઇટેરિયા જાહેર કર્યો નથી પરંતુ સંગઠન સંરચના બાદ એવી વાત વહેતી થઇ હતી કે આ વખતે મહત્તમ યુવા ચહેરાઓને ચૂંટણી લડાવાશે. અલબત્ત હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી તેમ એવી વાતે જોર પકડ્યું છે કે ભાજપ અમુક ચુનંદા સિનિયરોને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાવશે. ફ્ક્ત યુવાઓ જ નહીં પરંતુ તેમને માર્ગદર્શિત કરી શકે તેવા બે ચાર વિશ્વાસુ અને નિવડેલા સિનિયરો પણ બોડીમાં સમાવિષ્ટ રહે તેવા પ્રયાસો રહેશે.