વર્ષ 2007માં આવેલી ફિલ્મ 'ચક દે! ઈન્ડિયા' માત્ર એક સ્પોર્ટ્સ ડ્રામા નહોતી, પરંતુ તેણે ભારતીય સિનેમાને એવી કેટલીય પ્રતિભાશાળી અભિનેત્રીઓ આપી જેણે પડદા પર પોતાના જીવંત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા. આમાંથી જ એક પાત્ર હતું આંધ્રપ્રદેશની હોકી ખેલાડી ગુંજન લખાણીનું, જેને અભિનેત્રી શુભી મહેતાએ ખૂબ જ સુંદર રીતે ભજવ્યું હતું. સ્ક્રિન પર આત્મવિશ્વાસથી છલકાતી શુભીને ભલે આ બ્લોકબસ્ટર ફિલ્મથી જબરદસ્ત ઓળખ મળી, પરંતુ આજે તેની દુનિયા એક્ટિંગના ગ્લેમરથી તદ્દન અલગ છે. બોલિવૂડની ઝાકઝમાળને અલવિદા કહીને શુભી હવે કોર્પોરેટ જગતમાં એક મોટું સ્થાન હાસિલ કરી ચૂકી છે અને એક સિંગલ મધર તરીકે પોતાની જિંદગી સંપૂર્ણ આત્મનિર્ભરતા સાથે જીવી રહી છે. બહુ ઓછા લોકો જાણે છે કે બોલિવૂડમાં કદમ મૂકતા પહેલા શુભી ચર્ચિત રિયાલિટી શો 'એમટીવી રોડીઝ' (સીઝન 3)ની સ્પર્ધક રહી ચૂકી હતી. તેના બે વર્ષ પછી જ તેને શાહરૂખ ખાન સાથે 'ચક દે! ઈન્ડિયા' જેવી ઐતિહાસિક ફિલ્મમાં કામ કરવાની તક મળી. આ ફિલ્મ તેના કરિયરનો એક શ્રેષ્ઠ મોડ સાબિત થઈ. આ દરમિયાન તે લગભગ દસ વર્ષ સુધી સપનાની નગરી મુંબઈમાં રહી. મુંબઈ પ્રત્યેના પોતાના લગાવને યાદ કરતા શુભી હસીને જણાવે છે કે આ શહેર તેના માટે એક વાલી સમાન હતું, જેણે તેને વહાલ પણ આપ્યું, શીખવ્યું, ઘડી અને સમયે-સમયે એક જવાબદાર વ્યક્તિ બનાવી. મુંબઈમાં વિતાવેલા તે દસ વર્ષ તેના જીવનના ખૂબ જ સુંદર અને શીખથી ભરેલા દિવસો હતા. અભિનય ક્ષેત્રે ઉત્તમ અનુભવ મેળવ્યા બાદ શુભીએ એક સાહસિક નિર્ણય લીધો અને શોબિઝની આ ગ્લેમરસ દુનિયાને અલવિદા કહી દીધું. તેણે કોર્પોરેટ સેક્ટર તરફ વળાંક લીધો અને 'ઓલા' જેવી નામાંકિત કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2016માં લગ્નગ્રંથિથી જોડાયા બાદ તેનું જીવન એક નવા તબક્કામાં પહોંચ્યું, પરંતુ સમય જતાં જીવનમાં ફરી એક વળાંક આવ્યો અને તેના આ લગ્નનો અંત છૂટાછેડા તરીકે થયો. ડિવોર્સનો આ સમયગાળો શુભી માટે માનસિક અને લાગણીશીલ રીતે એક મોટો આંચકો હતો. આ તેના જીવનનો સૌથી કઠિન તબક્કો હતો, પરંતુ તેની નજીકની મિત્ર મારિયા અને કેટલાક સ્નેહીઓએ દરેક વળાંક પર તેનો હાથ પકડી રાખ્યો. સ્વજનોના ટેકા, હિંમત અને આશાના બળે તે આ ઊંડા દુઃખમાંથી બહાર આવવામાં સફળ રહી.
શુભી માને છે કે તેના જીવનનો સૌથી મોટો અને જાદુઈ વળાંક એ દિવસ હતો, જ્યારે તેણે પોતાના પુત્ર 'વેદ'ને દત્તક લેવાનો નિર્ણય કર્યો. 'ચક દે! ઈન્ડિયા'ની સફળતા કરતા પણ વધુ તે પોતાના પુત્રના આગમનને જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ માને છે. દિલ્હી કે પોતાના હોમટાઉન દહેરાદૂનના બદલે શુભીએ એકલા બેંગલુરુ આવીને વસવાટ કરવાનો અને એક સિંગલ પેરન્ટ તરીકે બાળકનું પાલન-પોષણ કરવાનો કઠિન વિકલ્પ પસંદ કર્યો. ત્યાં તેની પાસે માતા-પિતા કે સસરા પક્ષનો કોઈ શારીરિક ટેકો નહોતો. શુભીનું કહેવું છે કે વેદને ઘરે લાવવાનો નિર્ણય તાત્કાલિક હતો, પરંતુ તેણે તેની જિંદગીને હંમેશ માટે બદલી નાખી. એ દિવસમાં ઢગલાબંધ પ્રાર્થનાઓ, આશાઓ અને એક નવો જાદુ છુપાયેલો હતો. એક તરફ જ્યાં એકલા હાથે બાળકની પરવરિશ, સ્કૂલની જવાબદારીઓ, ઘરના ખર્ચા અને કોર્પોરેટ જોબ સંભાળવી કોઈના માટે પણ અત્યંત પડકારજનક હોઈ શકે છે, તો બીજી તરફ શુભીએ આ તમામ મુશ્કેલીઓને એક વ્યવસ્થિત દિનચર્યામાં ઢાળી દીધી છે. આજે તેનું જીવન ખૂબ જ અનુશાસિત અને સંતુલિત છે.