સુરતના અબ્રામા સ્થિત પીપી સવાણી હોસ્ટેલમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓમાં ફૂડ પોઇઝનિંગની ગંભીર સ્થિતિ સર્જાતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. 13 સપ્ટેમ્બર 2026 ના રોજ બનેલી આ ઘટના બાદ આરોગ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવાની સાથે સમગ્ર ગુજરાતની તમામ સરકારી, અર્ધસરકારી અને ખાનગી હોસ્ટેલોના કિચન અને ભોજન વ્યવસ્થાની સઘન ચકાસણી કરવાનો આદેશ જારી કર્યો છે.
મળતી માહિતી અનુસાર, અબ્રામા સ્થિત પીપી સવાણી હોસ્ટેલમાં અંદાજે 2500 વિદ્યાર્થીઓ માટે ભોજન તૈયાર થતું હતું, જેમાંથી રાત્રિભોજન કર્યા બાદ 100 થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. હાલ તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારા પર છે અને તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને ભોજન, પીવાના પાણી અને અન્ય ખાદ્ય સામગ્રીના નમૂનાઓ એકત્ર કરીને વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ ફૂડ પોઇઝનિંગ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તેની ચકાસણી કરવામાં આવી રહી છે. હોસ્ટેલ સંચાલકો દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી છે અને તપાસ ટીમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી કે રમત સહન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નું પાલન દરેક હોસ્ટેલે ફરજિયાતપણે કરવાનું રહેશે. જો કોઈ સંસ્થા નિયમોનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગામી સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં હોસ્ટેલોના કિચન, સ્વચ્છતા અને ગુણવત્તાની તપાસ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.