ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચની શરૂઆત પહેલાં એક અભૂતપૂર્વ અને ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. સામાન્ય રીતે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થતાં પહેલાં બંને દેશોનું રાષ્ટ્રગાન (નેશનલ એન્થમ) વગાડવામાં આવે છે. પરંતુ આ મેચમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન' પહેલાં ભારતનું રાષ્ટ્રગીત 'વંદે માતરમ' પ્લે કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ખેલાડીઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો હતો.
આ ઘટના સાથે જ ક્રિકેટ મેચો પહેલાંની વર્ષો જૂની પરંપરામાં મોટો બદલાવ જોવા મળ્યો છે. નોંધનીય છે કે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ના તમામ 6 પદો પ્લે કરવાનો પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો છે. ઓગસ્ટ 2026 માં 'પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર (એમેન્ડમેન્ટ) એક્ટ, 2026' પસાર કરવામાં આવ્યો છે, જેમાં વંદે માતરમને રાષ્ટ્રગાન જન ગણ મન જેટલું જ સમાન કાનૂની રક્ષણ અને દરજ્જો આપવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ગીતમાં જાણી જોઈને વિક્ષેપ પાડવા બદલ 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
બીજી તરફ, મેચના ટોસ સમયે પણ ભારતીય ટીમની પ્લેઇંગ-11 ને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. ઝિમ્બાબ્વે શ્રેણીમાં 50 થી વધુની સરેરાશથી 151 રન બનાવનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11 માંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેના સ્થાને સંજુ સેમસનની ટીમમાં વાપસી થઈ હતી.
અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચ માટે ભારતની પ્લેઇંગ-11 માં અંકિત શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંપરાગત રાષ્ટ્રગાન પહેલાં વંદે માતરમના ગાનથી દિલ્હીનું સ્ટેડિયમ દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.