સાંજના નાસ્તામાં કે સવારના ટિફિનમાં કંઈક એવું બનાવવું હોય જે હેલ્ધી હોય, સ્વાદિષ્ટ હોય અને પેટ પણ ભરાય, તો મગની દાળની ઇડલી એક ઉત્તમ વિકલ્પ છે. સામાન્ય રીતે ઇડલી બનાવવા માટે ખીરાને આખો આથો આપવો પડે છે, પરંતુ આ ઇડલી કોઈ પણ પ્રકારના ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે. પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોવા ઉપરાંત, મગની દાળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે, જેના કારણે તે ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.
ઇન્સ્ટન્ટ મગ દાળ ઇડલી માટેની જરૂરી સામગ્રીઆ પૌષ્ટિક ઇડલી બનાવવા માટે તમારા રસોડામાં જ ઉપલબ્ધ આ વસ્તુઓની જરૂર પડશે:
મુખ્ય સામગ્રી:- ૧ કપ પીળી મગની દાળ, અડધો કપ રવો (સુજી), અડધો કપ દહીં, અને ૧ નાની ચમચી ઇનો (Ino).મસાલા અને શાકભાજી: ૨ લીલા મરચાં, ૧ ઇંચ આદુનો ટુકડો, ૧ કદુકસ કરેલું ગાજર, અડધો કપ લીલા વટાણા, લીલા ધાણા અને સ્વાદ અનુસાર મીઠું તેમજ અડધી ચમચી હળદર.
સોફ્ટ અને ફૂલેલી ઇડલી બનાવવાની સૌથી સરળ રીત
તમે માત્ર ૪ સરળ સ્ટેપ્સમાં આ હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકો છો
સ્ટેપ ૧ (પીસવું):- સૌ પ્રથમ મગની દાળને બરાબર ધોઈ લો. ત્યારબાદ દાળને લીલા મરચાં અને આદુ સાથે મિક્સરમાં સ્મૂધ પીસી લો. હવે આ બેટરમાં રવો (સુજી) ઉમેરો, જેનાથી ઇડલી એકદમ ટેસ્ટી અને સોફ્ટ બનશે.
સ્ટેપ ૨ (મિક્સિંગ):- આ મિશ્રણમાં હળદર, દહીં, મીઠું અને અડધો કપ પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ બેટરને સેટ થવા માટે માત્ર ૫ મિનિટ બાજુ પર રાખી મૂકો. જો ઈચ્છો તો આ સમયે ગાજર અને વટાણા જેવા શાકભાજી ઉમેરી શકો છો.
સ્ટેપ ૩ (સ્ટીમિંગ):- હવે ઇડલીના સ્ટેન્ડમાં સહેજ તેલ લગાવી લો. બેટરમાં ઇનો મિક્સ કરી તરત જ તેને સાંચામાં ભરી દો અને ૮ થી ૧૦ મિનિટ માટે વરાળમાં (Steam) ચડવા દો.
સ્ટેપ ૪ (સર્વિંગ):- નિયત સમય પછી ગરમાગરમ સોફ્ટ ઇડલીને બહાર કાઢો અને સ્પેશિયલ નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.
સાથમાં બનાવો સ્પેશિયલ દહીં-નાળિયેરની ચટણી
ઇડલીનો સ્વાદ બમણો કરવા માટે આ રીતે બનાવો ટેસ્ટી ચટણી
ચટણીની પેસ્ટ
અડધો કપ સૂકું નાળિયેર, અડધો કપ દહીં, અડધો કપ શેકેલા ચણા (દાળિયા), ૨ લીલા મરચાં, આદુ અને મીઠું ઉમેરી થોડું પાણી નાખી મિક્સરમાં પીસી લો.ખાસ વઘાર: એક નાની કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, અડદની દાળ, ચણાની દાળ, ૮-૧૦ મીઠા લીમડાના પાન અને ૨ આખા લાલ મરચાંનો વઘાર કરો. જ્યારે દાળ સોનેરી રંગની થાય એટલે આ વઘારને ચટણી પર રેડી દો.
હેલ્થ ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ઘરગથ્થુ રેસીપી અને ડાયેટરી નૉલેજ પર આધારિત છે. ડાયાબિટીસ કે હૃદય રોગના દર્દીઓએ પોતાના બ્લડ શુગર લેવલ અને વ્યક્તિગત હેલ્થ કંડિશન અનુસાર આહારમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલાં હંમેશાં પોતાના ડૉક્ટર અથવા ક્લિનિકલ ડાયેટિશિયનની સલાહ લેવી જરૂરી છે.