રાજ્યસભામાં હાલમાં કુલ 245 સભ્યોની સંખ્યા છે. NDAની સ્થિતિમાં હાલમાં એનડીએ પાસે ગૃહમાં કુલ 148 સાંસદો છે, જેમાં સૌથી મોટો હિસ્સો ભારતીય જનતા પાર્ટી (BJP)નો છે, જેમના 113 સભ્યો છે.
કોઈપણ બંધારણીય સુધારા ખરડને પાસ કરાવવા માટે ગૃહમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડે છે. એનડીએ આ જાદુઈ આંકડાથી હજુ 15 સાંસદો દૂર છે.
કયા રાજ્યોમાં કેટલી બેઠકો પર ચૂંટણી યોજાશે?
આગામી 18 જૂને દેશના અલગ-અલગ વિસ્તારોની બેઠકો પર મતદાન થશે અને તે જ દિવસે તેના પરિણામો જાહેર થવાની સંભાવના છે
રાજ્યોબેઠકોની સંખ્યા
ગુજરાત 4 બેઠકો,આંધ્ર પ્રદેશ 4 બેઠકો,કર્ણાટક 4 બેઠકો ,મધ્ય પ્રદેશ 3 બેઠકો,રાજસ્થાન 3 બેઠકો, ઝારખંડ 2 બેઠકો ,અરુણાચલ પ્રદેશ 1 બેઠક ,મણિપુર 1 બેઠક ,મેઘાલય 1 બેઠક ,મિઝોરમ 1 બેઠક (આ ઉપરાંત, અન્ય 2 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજવામાં આવશે.)
મુખ્ય રાજ્યોના સમીકરણો અને જીતનું અનુમાન
ગુજરાત (4 બેઠકો)
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી ભાજપ પાસે 161 ધારાસભ્યોની પ્રચંડ બહુમતી છે. આ સંખ્યાબળના આધારે ભાજપ આ ચારેય બેઠકો પર સરળતાથી જીત મેળવશે તે લગભગ નક્કી છે.
આંધ્ર પ્રદેશ (4 બેઠકો)
રાજ્યમાં સત્તાધારી એનડીએ ગઠબંધન (TDP, જનસેના અને ભાજપ) પાસે કુલ 164 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે YSR કોંગ્રેસ પાસે માત્ર 11 ધારાસભ્યો છે. આથી ગઠબંધન અહીં પણ તમામ 4 બેઠકો જીતી શકે છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન (3-3 બેઠકો)
બંને રાજ્યોમાં ભાજપનું પલ્લું ભારે છે. વર્તમાન સમીકરણો મુજબ બંને રાજ્યોમાં ભાજપને 2-2 બેઠકો અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને 1-1 બેઠક ફાળે જઈ શકે છે.
કર્ણાટક (4 બેઠકો)
અહીં મુકાબલો રસપ્રદ બની શકે છે. સંખ્યાબળના આધારે સત્તાધારી કોંગ્રેસ 2 બેઠકો અને એનડીએ 1 બેઠક પર જીત મેળવી શકે છે, જ્યારે ચોથી બેઠકનો નિર્ણય ધારાસભ્યોના ક્રોસ-વોટિંગ કે રણનીતિ પર નિર્ભર રહેશે.
ઝારખંડ (2 બેઠકો)
ઝારખંડમાં હાલમાં 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનની સરકાર છે અને તેમની પાસે 56 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જ્યારે એનડીએ પાસે 24 ધારાસભ્યો છે. સામાન્ય સંજોગોમાં બંને બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે, પરંતુ એનડીએ રણનીતિક મતદાન દ્વારા મુકાબલો રોમાંચક બનાવવાના પ્રયાસમાં છે.