જામનગર: નવી મોખાણાની સીમમાંથી દીપડો નાસી ગયો, ખીજડીયા તરફ દેખાયો
પગપાળા જતાં યાત્રીકોની નજર સામે દીપડાએ માર્ગ ઓળંગ્યો
ચાલાક દીપડો છાશવારે વિસ્તાર બદલતા ગ્રામજનોમાં ભય યથાવત
જામનગરના નવી મોખાણાની સીમમાં દીપડો નાસી ગયાનું અનુમાન છે. કારણ કે, દીપડો ખીજડીયા તરફ દેખાયો છે. પગપાળા જતાં યાત્રીકોની નજર સામે દીપડાએ માર્ગ ઓળંગ્યો હતો. ચાલાક દીપડો છાશવારે વિસ્તાર બદલતા ગ્રામજનોમાં ભય યથાવત રહ્યો છે.
જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી. બનાવની જાણ થતાં વનવિભાગની ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં દીપડાના ફુટ પ્રીન્ટ મળી આવ્યા હતાં. આથી દીપડાને પકડી પાડવા વનવિભાગ દ્વારા ગામની સીમમાં ટ્રેપ કેમેરા સાથે પાંજરા મૂકવામાં આવ્યા હતાં. પરંતુ દીપડો પાંજરા સુધી આવીને નાસી ગયો હતો. ત્યારબાદ દીપડાના ચારેક દીવસ સુધી કોઇ સગડ ન મળતાં પાંજરા દૂર કરવામાં આવ્યા હતાં. પરંતુ નવી મોખાણા ગામની સીમમાં પુન: દીપડો દેખાતા વનવિભાગ દ્વારા અલગ અલગ દીશા અને સીમમાં પુન: ટ્રેપ કેમેરા સાથે ૩ પાંજરા મૂકવામાં આવ્યા હતાં. જેને પાંચેક દીવસ થવા છતાં દીપડો દેખાયો નથી. જો કે, પાંજરા યથાવત રાખવામાં આવ્યા છે. દીપડાએ વધુ એક વખત સ્થળ બદલતા ખીજડીયા તરફ નાસી ગયાનું અનુમાન છે. કારણ કે, અષાઢીબીજના પગપાળા જતાં યાત્રીકોએ દીપડાને માર્ગ ઓળંગતા નજરે જોયો હતો. આથી વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા ખીજડીયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દીપડો ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં હોવાની શકયતા વનવિભાગના અધિકારીઓએ વ્યકત કરી છે. જો કે, હજુ દીપડો ન પકડાતા ગ્રામજનોમાં ભયની લાગણી યથાવત રહી છે.