આઈપીએલની વર્તમાન સીઝનમાં પોઈન્ટ ટેબલની સ્થિતિ એટલી રોમાંચક છે કે હજુ સુધી કોઈ પણ ટીમનું ટોપ-2 માં સ્થાન નિશ્ચિત જણાયું નથી. સામાન્ય રીતે ટોપ-2 માં સુરક્ષિત રીતે પહોંચવા માટે ટીમોને ઓછામાં ઓછા 18 પોઈન્ટ્સની જરૂર પડી શકે છે. હાલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ રેસમાં મુખ્ય દાવેદારો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સૌથી મજબૂત સ્થિતિમાં
હાલમાં હૈદરાબાદની ટીમ ટેબલમાં ટોચ પર છે. 11 મેચોમાં 7 જીત સાથે તેમના 14 પોઈન્ટ્સ છે. હૈદરાબાદ પાસે હજુ 3 મેચ બાકી છે. જો તેઓ બાકીની 3 માંથી 2 મેચ જીતી લે છે, તો તેઓ 18 પોઈન્ટ્સ પર પહોંચી જશે, જે તેમને ટોપ-2 માં સ્થાન અપાવવા માટે લગભગ પૂરતા સાબિત થઈ શકે છે.
પંજાબ કિંગ્સ અને RCB નો દાવો
પંજાબ કિંગ્સ હાલમાં 10 મેચોમાં 13 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. જો તેઓ તેમની બાકીની 4 મેચોમાંથી 3 જીતે છે, તો તેઓ 19 પોઈન્ટ્સ સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) ને પણ 18 પોઈન્ટ્સના મેજિક ફિગર સુધી પહોંચવા માટે તેમની બાકીની 4 મેચોમાંથી 3-3 મેચોમાં વિજય મેળવવો અનિવાર્ય છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે અગ્નિપરીક્ષા
CSK માટે ટોપ-2 નો રસ્તો સૌથી મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે. ચેન્નાઈ હાલમાં 10 મેચોમાં 5 જીત સાથે 10 પોઈન્ટ્સ પર છે. ત્યારે CSK એ ટોપ-2 માં સ્થાન મેળવવા માટે તેમની બાકીની ચારેય મેચો જીતવી પડશે, તો જ તેઓ 18 પોઈન્ટ્સ સુધી પહોંચી શકશે. ચેન્નાઈ માટે સારી વાત એ છે કે તેમણે છેલ્લી 7 મેચોમાંથી 5 માં વિજય મેળવ્યો છે. જો તેઓ આ શાનદાર ફોર્મ જાળવી રાખે અને બાકીની બધી મેચો જીતી લે, તો તેઓ હજુ પણ ટોપ-2 માં સ્થાન મેળવી શકે છે.
નેટ રન રેટ બનશે નિર્ણાયક
જો બે કે તેથી વધુ ટીમો 18 પોઈન્ટ્સ પર સરખી રહે છે, તો ટોપ-2 નો ફેંસલો 'નેટ રન રેટ' (NRR) દ્વારા લેવામાં આવશે. આથી જ ટીમો હવે માત્ર જીતવા પર જ નહીં, પણ મોટા અંતરથી જીતવા પર પણ ભાર મૂકી રહી છે. આગામી 10 દિવસ આઈપીએલના ઈતિહાસના સૌથી રોમાંચક સાબિત થઈ શકે છે, કારણ કે દરેક મેચ પોઈન્ટ ટેબલના સમીકરણો બદલી શકે છે.