ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ વાડીમાં પરપ્રાંતીય ખેતમજૂર મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે તાકીદે અહીં પહોંચી તપાસ શરૂ કરી હતી. દરમિયાન મહિલાનો પતિ શંકાના દાયરામાં હોય પોલીસે તેની સઘન પૂછતાછ કરતા તેણે જ પત્નીની હત્યા કર્યાની કબુલાત આપી હતી.
દંપતી અઠવાડિયા પૂર્વે જ અહીં વાડીએ ખેતમજૂરી કામ માટે આવ્યું હતું. દરમિયાન પરિણીતાને તેનો પ્રેમી મળવા આવતા પતિ જોઈ જતા પ્રેમી ભાગી ગયો હતો. યારે પતિ–પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો બાદમાં પતિએ ઉશ્કેરાઇ પ્રથમ લાકડી વડે પત્નીને માર મારી બાદમાં ગળાટૂંપો આપી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી પતિને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી છે.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા હનુમાન ધારા પાછળ વાડીમાંથી આજરોજ પરપ્રાંતીય મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જી.એસ.ગડવી સહિતનો સ્ટાફ તાકીદે અહીં દોડી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડો હતો.
પોલીસની તપાસ દરમિયાન મૃતક મહિલાનું નામ ગુંદલીબેન ભકનભાઈ ભરેલા (ઉં.વ.૨૮) હોવાનું માલુમ પડ્યું હતું. પરિણીતાએ અને તેનો પતિ ભાયાલાલભાઈ ભારેલા બને આઠ દિવસ પૂર્વે કોટડા રોડ પર આવેલી ધીભાઈ ગોવિંદભાઈ રૈયાણીની વાડીએ મજૂરી કામ માટે આવ્યા હતા અને ત્યાં જ આવેલી ઓરડીમાં રહેતા હતા. ગઈકાલ રાત્રીના પતિ–પત્ની વચ્ચે ઉગ્ર માથાકૂટ થયા બાદ પત્ની ગુંદલીબેને દરવાજો બધં કરી દીધો હતો. જો કે ગુસ્સામાં આવી પતિએ ઓરડીનો દરવાજો તોડી તેને બહાર કાઢી લાકડી વડે માર માર્યો હતો અને ત્યારબાદ ગળાટૂપો આપી હત્યા કરી નાખ્યા માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આરોપી પતિ ભકન ભાયાલાલભાઇ ભારેલા (ઉં.વ. 32)ને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એવી હકિકત સામે આવી હતી કે, રાત્રિના મહિલાને તેનો પ્રેમી જયલો મળવા આવ્યો હોય દરમિયાન તેમનો પતિ અહીં આવી જતા બંનેને સાથે જોઈ તે ગુસ્સે ભરાયો હતો. સ્થિતિ પામી જઇ પ્રેમી અહીંથી તુરતં નાસી ગયો હતો. બાદમાં આ બાબતને લઈને પતિ–પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાઇ પતિએ પત્નીની હત્યા કરી નાખ્યાનું સામે આવ્યું છે. આ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.