રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના બેનર ઉપર શાહી ફેંકાઇ, બનાવની જાણ થતા તત્કાલ બેનર દૂર કરાયું
રાજકોટમાં પ્રધાનમંત્રી મોદીના બેનર ઉપર શાહી ફેંકાઇ, બનાવની જાણ થતા તત્કાલ બેનર દૂર કરાયું
December 17, 2025 03:18 PM
રાજકોટમાં સર્કિટ હાઉસ રોડના છેડે આવેલા શારદાબાગ નજીક લગાવાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બેનર ઉપર શાહી ફેંકાયાની ઘટના આજે સવારે સામે આવી હતી. બનાવની જાણ થતા જ શાસકોએ તાત્કાલિક અસરથી બેનર દૂર કરાવ્યું હોવાનું જાણવા મળે છે.
રાજકોટમાં આગામી તા.૧૦થી ૧૩ જાન્યુઆરી દરમિયાન યોજાનાર સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પધારવાના છે, તે પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસે જાગો ગ્રાહક જાગોના પોસ્ટરમાં પીએમ મોદીના ફોટા ઉપર શાહી લગાવવાની ઘટના સામે આવી હતી. દરમિયાન આ બાબત ધ્યાને આવતા મહાપાલિકા દ્વારા તાત્કાલિક પોસ્ટર હટાવી દેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા બે મહિનામાં બે વખત પીએમ મોદીના ફોટા ઉપર શાહી લગાવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અગાઉ તા.૧૫ ઓક્ટોબરે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે બહુમાળી ભવન ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટા પર અજાણ્યા શખસે શાહી લગાવી હતી.