સીજેઆઈ સૂર્યકાંતને દીક્ષાંતમાં ન બોલાવો કાયદા યુનિવર્સિટીના છાત્રો દ્વારા વિરોધ
સીજેઆઈ સૂર્યકાંતને દીક્ષાંતમાં ન બોલાવો કાયદા યુનિવર્સિટીના છાત્રો દ્વારા વિરોધ
August 10, 2026 10:35 AM
દેશની પ્રતિષ્ઠિત કાયદા યુનિવર્સિટીઓ પૈકીની એક હૈદરાબાદ સ્થિત નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના લગભગ 450 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાનો વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, અધ્યાપકો અને અન્ય અધિકારીઓને પત્ર લખીને મુખ્ય અતિથિની પસંદગી અંગે પુનર્વિચાર કરવાની માગ કરી છે. વિદ્યાર્થીઓનો વિરોધ મુખ્યત્વે દિલ્હીમાં 20 જુલાઈએ યોજાયેલા ‘ચલો સંસદ’ પ્રદર્શન દરમિયાન પોલીસની કથિત બર્બરતા અંગે સુપ્રીમ કોર્ટમાં થયેલી કાર્યવાહી વખતે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કરેલી ટિપ્પણીઓ સાથે સંકળાયેલો છે. કથિત પોલીસ અત્યાચારના વીડિયો રજૂ કરવાની વાત થતાં ચીફ જસ્ટિસે વીડિયો જોવામાં રસ નથી અને અદાલતનો સમય બગાડવામાં ન આવે તેવી મૌખિક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીઓના વીડિયો અને અહેવાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી NALSARના વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ હતી. સુપ્રીમ કોર્ટે 22 જુલાઈએ દિલ્હી પોલીસની કથિત બર્બરતા અંગે આપમેળે સંજ્ઞાન લેવાનો ઇનકાર કર્યો હતો. એક વકીલે પોલીસ કાર્યવાહીના વીડિયો પુરાવાનો ઉલ્લેખ કરતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અદાલત પાસે વીડિયો જોવાનો સમય નથી અને અદાલતનો તેમજ વકીલનો સમય બગાડવામાં ન આવે. વિદ્યાર્થીઓએ આ વલણને પોલીસ અત્યાચારના ગંભીર આરોપો પ્રત્યે ઉપેક્ષાપૂર્ણ ગણાવ્યું છે. NALSARના વિદ્યાર્થીઓએ અગાઉ 20 જુલાઈએ પ્રદર્શનકારીઓ સાથે એકતા વ્યક્ત કરવા એક ટંકના ઉપવાસનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે પોલીસ કાર્યવાહીમાં મહિલાઓ અને બાળકો સહિત 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાના આરોપો સામે આવ્યા છતાં દેશની સર્વોચ્ચ અદાલતે વીડિયો પુરાવા જોવાની તૈયારી ન દર્શાવવી ચિંતાજનક છે. સૌપ્રથમ 2026ની સ્નાતક કાયદા બેચના 70 વિદ્યાર્થીઓએ 23 જુલાઈએ યુનિવર્સિટી સત્તાધીશોને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવાયું હતું કે દીક્ષાંત સમારોહમાં એવા મહાનુભાવની ઉપસ્થિતિ હોવી જોઈએ જે બંધારણીય અધિકારો, ન્યાય સુધી પહોંચવાની સમાન તક અને લોકોની ફરિયાદો પ્રત્યે તાર્કિક તથા સંવેદનશીલ અભિગમ જેવાં મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે. વિદ્યાર્થીઓએ લખ્યું હતું કે વિરોધ કરી રહેલા નાગરિકો પર પોલીસ અત્યાચારના ગંભીર આરોપો પ્રત્યે જે મહાનુભાવનું તાજેતરનું જાહેર વર્તન ઉપેક્ષાપૂર્ણ જણાયું હોય તેમના હસ્તે ડિગ્રી સ્વીકારવી NALSARમાં શીખવવામાં આવેલાં મૂલ્યો સાથે સુસંગત નથી. આ વિરોધ માત્ર દીક્ષાંત લેનારી બેચ પૂરતો મર્યાદિત રહ્યો નથી. 25 જુલાઈ સુધીમાં 2027થી 2031 સુધીની જુદી જુદી બેચના લગભગ 380 વિદ્યાર્થીઓએ પણ 2026ની બેચની રજૂઆતને સમર્થન આપ્યું હતું. આ રીતે વિરોધ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 450 પર પહોંચી ગઈ છે. 2028ની બેચના વિદ્યાર્થીઓએ મુખ્ય ન્યાયાધીશની ઉપસ્થિતિનો આકરો વિરોધ નોંધાવ્યો છે. 2029ની બેચે જણાવ્યું છે કે આ મુદ્દો માત્ર એક દીક્ષાંત સમારોહ કે એક બેચનો નથી, પરંતુ NALSAR જે બંધારણીય નૈતિકતાનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે તેની સાથે જોડાયેલો છે. વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરી છે કે તેમનો વિરોધ ચીફ જસ્ટિસના બંધારણીય હોદ્દા સામે નહીં, પરંતુ તાજેતરની ન્યાયિક કાર્યવાહી દરમિયાન જોવા મળેલા વલણ સામે છે. NALSARના દીક્ષાંત સમારોહમાં કાર્યરત મુખ્ય ન્યાયાધીશને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાની લાંબી પરંપરા રહી છે. જોકે યુનિવર્સિટીએ હજુ દીક્ષાંત સમારોહની તારીખ કે મુખ્ય અતિથિના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ચીફ જસ્ટિસ સૂર્યકાંતને આમંત્રણ અપાયું હોવાના અહેવાલ મળ્યા બાદ તેમણે આગોતરો વિરોધ નોંધાવ્યો છે.