રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિક અને અકસ્માતોની ઘટનાઓને નિયંત્રિત કરવા મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રેસકોર્સ રિંગ રોડ ઉપર કિસાનપરા ચોક, ઢેબર રોડ ઉપર કોર્પોરેશન ચોક અને ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર નાણાવટી ચોક સહિત રાજમાર્ગોના સાત મુખ્ય ચોકમાં નવા ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવશે.
વિશેષમાં મહાનગરપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, કોટેચા ચોક ઉપરાંત કોર્પોરેશન ચોક, નાણાવટી ચોક, ભૂતખાના ચોક, કિસાનપરા ચોક અને કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ ચોક સહિતના સાત ટ્રાફિકથી ધમધમતા ચોકનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની આઈટી બ્રાન્ચ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ બ્રાન્ચ અને રોશની બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ તમામ સાત સ્થળોએ સિગ્નલ માટેના પોલ ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
તંત્ર દ્વારા એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે દિવાળીના તહેવાર સુધીમાં સાતેય ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરી દેવામાં આવશે. સિગ્નલ શરૂ થતાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને વાહનચાલકોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.