જામજોધપુર તાલુકાના સતાપર ગામે આજે સવારે ૯:૪૫થી ૧૦ દરમ્યાન ભેદી ધડાકો થયો હતો, જેના કારણે ગ્રામજનો ભયભીત થઇ ઘરની બહાર દોડી ગયા હતાં, ધડાકાનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.
આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ સતાપર, ઉદેપુર, ભડાનેશ, મહીકી, કાટકોલાથી જામજોધપુર સુધી ભેદી કડાકાનો અવાજ સંભળાયો હતો, જેને કારણે ગ્રામજનો ભયભીત થઇ ઘરની બહાર દોડી ગયા હતાં, જામજોધપુર મામલતદારનો આ બાબતે આજકાલ દ્વારા કોન્ટેકટ કરવાનો પ્રયત્ન કરતા નો-રીપ્લે આવતા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ગીરીશ મકવાણા સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, આજે સવારે ધડાકો થયો હતો, પરંતુ કોઇ જાનહાની થવા પામી ન હતી.
સતાપરના સરપંચ ભાવેશભાઇ ઘોેલેતર સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, આજે સવારે ૯:૪૫થી ૧૦ની વચ્ચે ગેબી ધડાકો થવા પામ્યો હતો, આ ભેદી ધડાકાના કારણે ઘરની કાંધી પર રાખવામાં આવેલા ઠામ-વાસણ નીચે પડી જવા પામ્યા હતાં અને ઘરના બારી-બારણા ધ્રુજી ઉઠયા હતાં જેથી ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતાં, આ ધડાકાનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. સતાપર તેમજ આસપાસના ગ્રામજનો પણ આ ધડાકાથી ચિંતીત બન્યા છે.