રાજકોટ યાર્ડમાં ડુંગળી ૫૦ની કિલો; સ્થાનિક પાક નિષ્ફળ જતાં ભાવમાં પાંચ ગણો વધારો
રાજકોટ યાર્ડમાં ડુંગળી ૫૦ની કિલો; સ્થાનિક પાક નિષ્ફળ જતાં ભાવમાં પાંચ ગણો વધારો
August 25, 2026 02:42 PM
રાજકોટમાં ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ જનતાને રડાવી રહ્યા છે, રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં છેલ્લા ૧૫ દિવસમાં પાંચ ગણો વધારો નોંધાયો છે. યાર્ડની હોલસેલ માર્કેટમાં ડુંગળીના રૂ.૫૦ના પ્રતિ કિલોના ભાવથી સોદા થઇ રહ્યા છે. ડુંગળીની નિકાસ માટે જાણીતા સૌરાષ્ટ્રમાં આ વર્ષે સ્થાનિક પાક નિષ્ફળ જતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી મોટા પાયે આયાત કરવામાં આવી રહી છે. વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વર્તુળોના જણાવ્યા મુજબ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચાલુ ચોમાસે ઓછા અને અનિયમિત વરસાદને કારણે ડુંગળીનો ચોમાસુ પાક લગભગ નિષ્ફળ ગયો છે અને સ્ટોક પણ મર્યાદિત હોવાને કારણે ડુંગળીના ભાવ વધી રહ્યા છે. પખવાડિયા પૂર્વે પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૦૦થી ૪૦૦ના ભાવે વેંચાતી ડુંગળી હાલ રૂ.૮૦૦થી ૯૦૦ના ભાવે વેંચાઈ રહી છે. ડુંગળીમાં તાજેતરમાં વાવેતર થયું તે પાક હવે દિવાળી પછી આવશે તેથી લાંબો સમય સુધી ડુંગળીમાં ભાવ વધુ રહેશે તેવું અનુમાન થઇ રહ્યું છે. હાલ દરરોજ ૬૦૦૦ દાગીનાની આવક છે તેમાં ૨૦૦૦ દાગીના સ્થાનિક અને ૪૦૦૦ દાગીના મહારાષ્ટ્ર, નાસિક, મધ્યપ્રદેશથી આવી રહ્યા છે. આજે અન્ય રાજ્યમાંથી ડુંગળીના ૧૦ ટ્રક રાજકોટ માર્કેટ યાર્ડમાં ઠલવાયા હતા. માલની શોર્ટેજ હોવાને કારણે નબળી ગુણવત્તા હોય તેવા માલના પણ વધુ ભાવ ઉપજી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિ કિલોના રૂ.૫૦ એ રાજકોટ માર્કેટ યાર્ડમાં હરાજીનો હોલસેલ ભાવ છે, જ્યારે રિટેલ શાક માર્કેટના ધંધાર્થીઓ અને ફેરિયાઓ તો હાલ મનફાવે તેટલા ભાવ વસુલી રહ્યા છે.