ડિમોલિશન થશે તો 32 હજાર લોકો ઘર વિહોણા થઈ જશે, 200 વિધવા બહેનો છે જેના ઘરે કોઈ કમાવાવાળા નથીઃ જંગલેશ્વરના લોકોની વ્યથા
ડિમોલિશન થશે તો 32 હજાર લોકો ઘર વિહોણા થઈ જશે, 200 વિધવા બહેનો છે જેના ઘરે કોઈ કમાવાવાળા નથીઃ જંગલેશ્વરના લોકોની વ્યથા
December 25, 2025 06:43 PM
રાજકોટ શહેરના આજી નદીના કાંઠે વર્ષોથી વસી ગયેલા જંગલેશ્વરમાં નદીના કાંઠા ઉપરાંત સરકારી જમીનમાં વ્યાપક પ્રમાણમાં દબાણ ઊભા થઇ ગયા હોય અગાઉ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ બાદ ગત ગુરુવારે અચાનક જ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા ટીપી સ્કીમ અન્વયે જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવેલ 80 હજાર ચોરસમીટર જમીન પર દબાણ સંદર્ભે 500થી વધુ મિલકતધારકને નોટિસ ફટકારી છે. જેને લઈને જંગલેશ્વરના સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો છે.
જંગલેશ્વરના 170થી વધુ લોકોએ આ અંગે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે, અમને હાઈકોર્ટમાંથી ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં જવા તૈયાર છે. જંગલેશ્વર વિસ્તાર વર્ષોથી છે અને પેઢીઓથી લોકો રહે છે. કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે તો ચૂંટણીમાં મતદાર યાદી છે એમાં આ લોકોના રહેઠાણના પૂરાવાના નામ બોલે છે. આ વિસ્તારમાં 200 વિધવા બહેનો રહે છે જેના ઘરે કોઈ કમાવાવાળું નથી. જો ડિમોલિશન થાય તો 32 હજાર લોકો ઘરવિહોણા થઈ જશે. કોર્ટ અમારૂ સાંભળશે એવો અમને પૂરો વિશ્વાસ છે.