કર્ણાટકમાં આરએસએસની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવાની વિચારણા થઇ રહી છે. કારણ કે મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગેરબંધારણીય પ્રવૃત્તિઓમાં સામેલ છે અને યુવાનો અને બાળકોને દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે ઉશ્કેરે છે. ભાજપે આ મુદ્દે કોંગ્રેસની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે સંઘ રાષ્ટ્ર ભાવનાને મજબૂત બનાવવાનું કામ કરે છે.
આ પત્રના આધારે, સિદ્ધારમૈયાએ રાજ્યના મુખ્ય સચિવ શાલિની રજનીશને આ બાબતની તપાસ કરવા અને માહિતી મળ્યા પછી જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. પ્રિયંક ખડગે સિદ્ધારમૈયાની સરકારમાં આઈટી મંત્રી તરીકે સેવા આપે છે. ભાજપે ખડગેના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે. ભાજપનો દાવો છે કે સરકાર પોતાની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે એક નવો મુદ્દો ઉઠાવવા માંગે છે. વધુમાં, સીએમ પદ માટે કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ઝઘડો પણ એક કારણ તરીકે દર્શાવવામાં આવ્યો છે. તાજેતરમાં, ડીકે શિવકુમારે વિધાનસભામાં આરએસએસ પ્રાર્થનાની બે પંક્તિઓ વાંચી અને તેની પ્રશંસા કરી.
પ્રિયંક ખડગેએ પોતાના પત્રમાં શાખાઓ અને સભાઓ પર પ્રતિબંધ સહિત આરએસએસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ખડગેએ કહ્યું કે સરકારી શાળાઓ, સહાયિત શાળાઓ અને રમતના મેદાનોમાં શાખાઓને મંજૂરી આપવી જોઈએ નહીં. ખડગેએ સરકારી માલિકીના મંદિરોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી. ખડગેએ કહ્યું કે આરએસએસ તેની પ્રવૃત્તિઓ દ્વારા નફરતના બીજ વાવે છે. તેમણે કહ્યું કે આરએસએસ કાર્યકરો પોલીસની પરવાનગી વિના લાકડીઓ લઈને ચાલે છે.