રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારત અને ભારતીયોની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને રશિયા દાયકાઓ જૂના, વિશ્વાસપાત્ર અને ભાઈચારાના સંબંધો ધરાવે છે જે સમય જતાં વધુ મજબૂત બન્યા છે. પુતિને ભારતીયોની પ્રતિભા, શિક્ષણ અને તકનીકી કુશળતાની વૈશ્વિક માન્યતા વિશે વાત કરી. રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ૧૯૪૭ માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા ત્યારથી ભારત-રશિયા સંબંધો સતત મજબૂત રહ્યા છે. તેમણે આ સંબંધોને વિશ્વાસ, આદર અને ભાઈચારો પર આધારિત ગણાવ્યા.
ભારત ક્યારેય કોઈના દબાણ સામે ઝૂકતું ન હોવા અંગે વખાણ પણ કર્યા
પુતિને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે અને કોઈપણ બાહ્ય દબાણ સામે ઝૂકતું નથી. તેમણે કહ્યું કે ભારત સામે પ્રતિબંધો લાદવાનો કોઈપણ પ્રયાસ વિપરીત પરિણામ આપી શકે છે, કારણ કે ભારત પોતાની નીતિઓ અને આર્થિક હિતોને અનુરૂપ નિર્ણયો લેવા સક્ષમ છે. રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી વડા પ્રધાન મોદી સાથે નિયમિત સંપર્કમાં છે, અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ મજબૂત રહે છે.પુતિને કહ્યું કે, તેમની સમજ મુજબ, અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો પણ સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત એક સ્વતંત્ર દેશ છે અને તેને તેની જરૂરિયાતો અનુસાર શ્રેષ્ઠ ટેકનોલોજી, ઉત્પાદનો અને સેવાઓ પસંદ કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા ગુણવત્તા, ઉપયોગિતા અને રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણયો લે છે, અને આ તેની સૌથી મોટી તાકાત છે.
પીએમ મોદીના નિર્ણયોનો પણ ઉલ્લેખ
સંબોધન દરમિયાન, પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા કેટલાક પગલાંનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હોમુંઝ ક્ષેત્રની પરિસ્થિતિને કારણે, ભારતે કેટલાક સાવચેતીનાં પગલાં લેવા પડ્યા. પુતિનના જણાવ્યા મુજબ, વડા પ્રધાન મોદીએ જનતાને ખાનગી વાહનોનો ઉપયોગ મર્યાદિત કરવા અને લાંબા અંતરની મુસાફરી ટાળવાની અપીલ કરી હતી. તેમણે આને પડકારજનક પરિસ્થિતિઓમાં લેવામાં આવેલ એક જવાબદાર પગલું ગણાવ્યું. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં, રશિયા ભારત અને એશિયન દેશોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. તેમણે કહ્યું કે રશિયન કંપનીઓ અને ભારતીય ભાગીઘરોએ પરસ્પર સહયોગને વિસ્તૃત કરવાનો યોગ્ય નિર્ણય લીધો છે.પુતિને કહ્યું કે રશિયા ભારતીય બજારમાં પુરવઠો વધારી રહ્યું છે અને તેની તકનીકી કુશળતા અને ઉકેલો શેર કરી રહ્યું છે. આ બંને દેશો વચ્ચે આર્થિક અને તકનીકી સહયોગને નવી ગતિ આપી રહ્યું છે. પુતિને સ્પષ્ટ કર્યું કે ભારત-રશિયા સંબંધો ફકત વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ બંને દેશો ઊર્જા, ટેકનોલોજી, સંરક્ષણ અને રોકાણ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.