ન્યુ સલાયા બંધારા યોજનાના નિર્માણ કાર્યને મળી સૈદ્ધાંતિક મંજુરી
ધારાસભ્ય મુળુભાઈ બેરાના પ્રયાસોથી સલાયા ગોઇંજ વચ્ચે થશે નિર્માણ કાર્ય
ખંભાળિયા શહેરમાં વરસાદી પાણીને દરિયામાં વહી જતું અટકાવવા તેમજ આ વિસ્તારમાં રહેલા ખેતરના લાભ માટે સરકાર દ્વારા ન્યુ સલાયા બંધારા યોજનાને રૂપિયા ૬૭ કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે માટે અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
ખંભાળિયા તાલુકાના સલાયા અને ગોઇંજ ગામની વચ્ચે ઘી નદી અને હાપી નદીના નિર્મળ જળને વરસાદમાં ઓવરફ્લો થયા બાદ દરિયામાં ભળતા અટકાવવા તેમજ આ વિસ્તારમાં રહેલા ખારા જળ તેમજ ખારી જમીનમાં વરસાદી પાણીના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાના આશયથી અહીં બંધારા યોજના અતિ આવશ્યક હતી. જેને અનુલક્ષીને ખંભાળિયા - ભાણવડ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અવીરત પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા ન્યુ સલાયા બંધારા યોજનાના નિર્માણ કાર્યને ા. ૬૭ કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના દરિયાઈ વિસ્તારના ખારા વિસ્તારો એવા સલાયા, ગોઇંજ, કોઠા વિસોત્રી, કુબેર વિસોત્રી, કાલાવડ સીમાણી, સોડસલા વિગેરે ગામો માટે વરસાદી પાણીને દરિયામાં જતું અટકાવવા તેમજ આ વિસ્તારમાં ખેતી માટે વધુ એક ડેમ આ વિસ્તારમાં બનાવવો અનિવાર્ય હોય, આ અંગે અવારનવાર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય મુળુભાઈ બેરાના પ્રયાસોથી રૂ. ૬૭ કરોડના ખર્ચે આ બંધારા યોજનાને મંજૂરી સાંપળી છે.
આ યોજના સંપન્ન થયેથી સલાયા અને ગોઇંજ ગામ વચ્ચે વરસાદી તેમજ નદીના પાણીનો સંગ્રહ થતાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને ખેતીને પણ આ પાણી ખૂબ જ લાભદાયક સાબિત થશે. આ વિસ્તારના વર્ષો જૂના મહત્વના પ્રશ્નનું નિરાકરણ આવતા સ્થાનિક રહીશોએ રાજ્ય સરકાર તેમજ ધારાસભ્ય મુળુભાઈ બેરાનો આભાર વ્યક્ત કર્યો હતો.