ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વરસાદી પાણી બચાવવા રિચાર્જ બોર બનાવાશે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વરસાદી પાણી બચાવવા રિચાર્જ બોર બનાવાશે
July 06, 2026 10:03 AM
પર્યાવરણ સંરક્ષણ અને ભૂગર્ભ જળસ્તરને ઐંચું લાવવાના આશયથી ગોંડલ માર્કેટિંગ યાર્ડે એક અનોખી અને દૂરંદેશી પહેલ હાથ ધરી છે. યાર્ડ પરિસરમાં ચોમાસા દરમિયાન એકત્ર થતા વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી તેને સીધું જ ભૂગર્ભમાં ઉતારવા માટે ૧૦૦થી વધુ રિચાર્જ બોર બનાવવાની કામગીરીનો શુભારભં કરવામાં આવ્યો છે. આ સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જળ સંવર્ધન માટે આવી આયોજનબદ્ધ સિસ્ટમ ઊભી કરનાર ગુજરાતનું પ્રથમ યાર્ડ બની ગયું છે. ધારાસભ્યના પ્રતિનિધિ અને યુવા અગ્રણી ગણેશ, ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા તથા વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન–અર્ચન સાથે આ પ્રોજેકટનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યાર્ડના હોદ્દેદારો, ડિરેકટરો, વેપારીઓ, ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ચોમાસામાં યાર્ડમાં વહી જતાં વરસાદી પાણીનો બગાડ અટકાવવા અને તેનો સદુપયોગ કરવા આ યોજના અમલમાં મૂકાઈ છે. ૧૦૦થી વધુ રિચાર્જ બોર મારફતે વરસાદી પાણી સીધું ભૂગર્ભમાં ઉતરશે. જેના પરિણામે માત્ર યાર્ડ જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોના કૂવા અને બોરમાં પણ પાણીના તળ ઐંચા આવશે