રાજકોટ મહાપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર સાંઢીયા પુલના સ્થાને નિર્માણાધિન નવા ફોરલેન રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું ૮૮ કામ પૂર્ણ થયું છે ત્યારે હવે બાકી રહેતું ૧૨ ટકા કામ દોઢ મહિનામાં પૂર્ણ થઇ જાય તો એપ્રિલ માસમાં પુલનું લોકાર્પણ કરવા આવે તેવી પ્રબળ શક્યતા હોવાનું મહાપાલિકાના વર્તુળોમાંથી જાણવા મળે છે. પ્રોજેક્ટ પૂર્ણ થવાની મુદ્દત તો જૂન-૨૦૨૬ છે પરંતુ કામ સમયસર ચાલ્યું હોય બે મહિના વહેલું પૂર્ણ થશે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, હવે રેલવે ટ્રેક ઉપરના સેન્ટ્રલ પોર્શનનું કામ શરૂ થયું છે જેમાં રેલવેએ ટ્રેન પસાર થતી ન હોય તેવો બ્લોકનો સમય તેમજ અન્ય જરૂરી મંજૂરી આપી દેતા કામ આગળ ધપ્યું છે. હવે સેન્ટ્રલ પોર્શનમાં ૩૦૦ ટનના સાત સ્ટીલ ગર્ડર મૂકવામાં આવશે. ગર્ડર લોન્ચિંગ પૂર્વે ગર્ડર સહિતના બાંધકામ મિટિરિયલ્સની રેલવે દ્વારા તેના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ અનુસાર સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
સાંઢીયા પુલ પ્રોજેક્ટના કારણે જામનગર રોડ ઉપર પુલ વિસ્તાર બંધ કરી રહેણાંક તેમજ શહેરના રાજમાર્ગો ઉપર રોડ ડાયવર્ઝન અપાયું છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વધી છે, ખાસ કરીને રાજકોટથી જામનગર તરફ જતી તમામ એસટી બસો યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, રૈયા રોડ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ થઇ માધાપર ચોકડીએ પહોંચતી હોય દરરોજ ૨૦૦ જેટલી એસટી બસ તેમજ અન્ય ભારે વાહનો શહેર વચ્ચેથી પસાર થતા હોય ટ્રાફિક સમસ્યામાં વધારો થયો છે. પુલ પ્રોજેક્ટ સમગ્ર શહેરના ટ્રાફિકને પ્રભાવિત કરી રહ્યો છે. તદઉપરાંત પુલથી આગળના રહેણાંક વિસ્તારના રહીશો માટે ભોમેશ્વરમાંથી ડાયવર્ઝન અપાયું હોય આ રહેણાંક વિસ્તારમાં પણ દિવસભર ટ્રાફિક સમસ્યા રહેતી હોય વ્હેલી તકે પુલનું કામ પૂર્ણ થાય અને રસ્તો પૂર્વવત થાય તેમ નાગરિકો ઇચ્છી રહ્યા છે.
સાંઢીયા પુલનું નામકરણ કરવા વિચારણા
પુલનો આકાર સાંઢીયાની પીઠ જેવો હોવાને કારણે હાલ સુધી લોકમુખે સાંઢીયા પુલ તરીકે ઓળખાતા ૫૦ વર્ષથી વધુ જુના ભયગ્રસ્ત પુલનું ડિમોલિશન કરી તેના સ્થાને રૂ.૭૦ કરોડના ખર્ચે નવો ફોર લેન રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરાયો છે ત્યારે આ બ્રિજનું નામકરણ વિચારાધિન છે, જો મહાપાલિકાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે પ્રોજેક્ટ પૂર્ણ થાય તો નામકરણ સમયસર થઇ શકશે અન્યથા નવી ટર્મમાં નવા પદાધિકારીઓને આ તક મળશે.
ચૂંટણી પૂર્વે લોકાર્પણથી બે વોર્ડમાં ફાયદો થશે
પુલનું લોકાર્પણ જો મહાપાલિકાની ચૂંટણી પૂર્વે થાય તો વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૩ તેમ બે વોર્ડમાં ફાયદો થાય તેમ હોય ચૂંટણી પૂર્વે લોકાર્પણ થાય માટેનો પ્રયાસ થશે. જો કે ચૂંટણી પહેલા લોકાર્પણ થશે કે કેમ ? તે કહેવું મુશ્કેલ છે. જો ચૂંટણી પૂર્વે લોકાર્પણ થાય તો સમારોહ યોજી શાસકોને યશ મેળવવાની તક મળશે અને જો ચૂંટણી પૂર્વે લોકાર્પણ શક્ય નહીં બને તો કદાચ આચારસંહિતા દરમિયાન સાદગી પૂર્વક પુલ ખુલો મુકાય તેવું પણ બની શકે છે.