દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે વહેલી સવારે બ્લેક આઉટ જેવી પરિસ્થિતિ વચ્ચે પોલીસ સહિત સલામતી દળોના ધાડાઓ અવતરી પડતા યાત્રાળુઓ આશ્ચર્ય સાથે કુતુહલમાં મુકાઈ ગયા હતા. પરંતુ બાદમાં ખબર પડી હતી કે યાત્રાળુઓની સલામતિ અને અગમચેતીના પગલાંની ચકાસણી માટે સોમનાથ મંદિર પરિસરમાં મોડીરાતથી વહેલી સવાર સુધી સંભવિત આતંકવાદી હુમલા સ સઘન મૉકડ્રિલ યોજાઈ હતી.
જેમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ સાથે પોલીસ વિભાગ, આરોગ્ય, ફાયર સહિત વહીવટી તંત્રના સંબંધિત વિભાગ અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસો સાથે યોજાયેલી આ મૉકડ્રિલમાં આતંકવાદી હુમલા સમયે સાવચેતીના પગલાં ચકાસવા અંગે બ્લેકઆઉટ સહિતના તમામ તબક્કાઓ આવરી લેવામાં આવ્યાં હતાં.
વહેલી સવાર સુધી ચાલેલી આ મૉકડ્રિલમાં મંદિરમાં કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિ સર્જાય તો કઈ રીતે શ્રદ્ધાળુઓને બચાવી શકાય? વિવિધ વિભાગના સંકલનથી ત્વરિત પગલાં લેવા, સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી દિગ્વિજય દ્વાર, હમીરજી સર્કલથી ગૌરીકુંડ અને લીલાવતી ભવન, સાગર દર્શન સહિતના પેટ્રોલિંગ પોઈન્ટ, મંદિર પાછળના ભાગમાં વોક-વે પેટ્રોલિંગ, સમુદ્રી સુરક્ષા, ગંભીર સ્થિતિમાં શ્રદ્ધાળુઓને આરોગ્ય સુવિધા પૂરી પાડવા સહિતના તમામ તબક્કાઓનું વિવિધ સંભાવનાઓ સાથે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આમ, સોમનાથ મંદિર મહત્વનું ધાર્મિક સ્થળ હોવાના કારણે આ પર્યટન સ્થળ પર આતંકવાદી હુમલાનો સામનો કરવા અને પ્રથમ પ્રતિભાવ તરીકે સ્થાનિક તંત્રની તૈયારીઓ સુનિશ્ચિત કરવા આ મોકડ્રિલ યોજાઈ હતી.