જૂન મહિનાની શરૂઆત જ સામાન્ય જનતા માટે મોંઘવારીનો નવો ડામ લઈને આવી છે. ગેસ વિતરણ કંપનીઓએ ફરી એકવાર ૧૯ કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. આ ભાવવધારો આજથી એટલે કે ૧લી જૂનથી જ દેશભરમાં લાગુ થઈ ગયો છે. જોકે, ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે રાંધણ ગેસ (ઘરગથ્થુ સિલિન્ડર)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દેશના મુખ્ય શહેરોમાં આજથી નવા ભાવ
દિલ્હી-એનસીઆર-: કિંમતમાં ₹૪૨નો વધારો થતાં હવે નવો ભાવ ₹૩૧૧૩.૫૦ થયો છે.
કોલકાતા-: અહીં સૌથી વધુ ₹૫૩.૫૦નો વધારો ઝીંકાયો છે, જેથી નવો ભાવ ₹૩૨٥૫.50 એ પહોંચ્યો છે.
5 કિલોવાળો સિલિન્ડર (FTL)-:આ નાના સિલિન્ડરમાં પણ ₹૧૧નો વધારો થયો છે, હવે દિલ્હીમાં તેનો નવો ભાવ ₹૮૨૧.૫૦ રહેશે.
ઘરગથ્થુ રાંધણ ગેસ (૧૪.૨ કિલો):- દિલ્હીમાં આ સિલિન્ડર જૂના ભાવ એટલે કે ₹૯૧૩ માં જ મળતો રહેશે, જે મધ્યમ વર્ગ માટે મોટી શાંતિ છે.
ભાવ વધવાનું અસલી કારણ
બજારના નિષ્ણાતોના મતે, આ ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી હલચલ જવાબદાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની કિંમતો આસમાને પહોંચી છે. વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવેલી અડચણો અને આયાત પાછળ થતા વધારાના ખર્ચના દબાણને કારણે દેશની ગેસ કંપનીઓએ આ આકરો નિર્ણય લેવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, બરાબર એક મહિના પહેલા ૧લી મેના રોજ પણ આ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો