મોવિયા સ્થિત સર્વોદય એજ્યુકેશન કેમ્પસમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય, ભક્તિમય અને સંસ્કારસભર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કેમ્પસને મોરપીંછ, વાંસળી, ફૂલો, રંગોળી અને આકર્ષક કૃષ્ણ ઝાંખીઓથી શણગારવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર પરિસર કૃષ્ણમય બની ગયું હતું.
કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રીકૃષ્ણના પૂજન-અર્ચન અને દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રાધા-કૃષ્ણ, ગોપ-ગોપી, યશોદા, નંદબાબા અને સુદામાના વેશમાં મનમોહક રજૂઆતો કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કૃષ્ણલીલા, રાસ-ગરબા, ભજન, સમૂહનૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગારંગ રજૂઆતથી ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો ભાવવિભોર બની ગયા હતા.પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અંકુરભાઈ દુદાણી તથા ચિરાગભાઈ દુદાણીએ જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવું એ સર્વોદય એજ્યુકેશન કેમ્પસની આગવી ઓળખ છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, ટીમભાવના અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના વિકસાવે છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી સત્ય, પ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને ધર્મના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો.કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ રજૂઆતોને બિરદાવી હતી.અંતે શ્રીકૃષ્ણના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાવના વધે તેવી પ્રાર્થના સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. સર્વોદય એજ્યુકેશન કેમ્પસની આ આગવી ઉજવણી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના પ્રગટાવતી અને સંસ્કારોનું સિંચન કરતી યાદગાર બની રહી.