BREAKING NEWS

EPFO ની કમાણીનું મોટું સિક્રેટ: જાણો તમારા PF ના પૈસા ક્યાં રોકવામાં આવે છે અને કેવી રીતે નક્કી થાય છે 8.25% વ્યાજ

  • June 28, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે તાજેતરમાં નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર 8.25% વ્યાજ દર ને મંજૂરી આપી દીધી છે. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના 7.8 કરોડથી વધુ પીએફ (PF) ખાતાધારકો માટે આ વ્યાજ દર ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કે અન્ય ટેક્સ સેવિંગ રોકાણો કરતાં ઘણો સારો માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે EPFO આટલું સારું વ્યાજ કેવી રીતે આપે છે અને તમારા પૈસા ક્યાં રોકે છે? આવો જાણીએ પીએફની કમાણીનું આખું ગણિત.

પીએફ (PF) નું વ્યાજ કેવી રીતે નક્કી થાય છે?
EPF પર મળતા વ્યાજનો નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા લેવામાં આવે છે. આ બોર્ડ સૌપ્રથમ એ જુએ છે કે EPFO ને સરકારી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ, સરકારી જામીનગીરીઓ (Government Securities) અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) જેવા રોકાણોમાંથી કેટલું રિટર્ન (નફો) મળ્યું છે. ત્યારબાદ વ્યાજ દરનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલવામાં આવે છે અને સરકારની મંજૂરી બાદ તે ખાતાધારકોના એકાઉન્ટમાં જમા થાય છે. વ્યાજ વર્ષમાં એક જ વાર જમા થાય છે, પરંતુ તેની ગણતરી દર મહિને ખાતામાં રહેલા બેલેન્સના આધારે થાય છે.

EPFO પાસે રોકાણ માટે પૈસા ક્યાંથી આવે છે?
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા દરેક કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થા (DA) ના 12% પીએફ ખાતામાં જમા થાય છે અને એટલી જ રકમ કંપની (Employer) દ્વારા પણ જમા કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2024-25 માં EPFO ને કુલ 3.35 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 2.58 લાખ કરોડ રૂપિયા કર્મચારીઓ અને કંપનીઓના યોગદાનમાંથી આવ્યા હતા. આ સિવાય જૂના રોકાણોની પાકતી મુદત (Maturity), વ્યાજ અને ડિવિડન્ડની રકમ પણ આ ફંડમાં ઉમેરાય છે.

તમારા પૈસાનું રોકાણ ક્યાં થાય છે?
માર્ચ 2025 સુધીમાં EPFO નું કુલ રોકાણ ભંડોળ 28.37 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. શ્રમ અને રોજગાર મંત્રાલયના નિયમો અનુસાર આ નાણાં નીચે મુજબ રોકવામાં આવે છે:

  • 45% થી 65%: સરકારી જામીનગીરીઓ અને બોન્ડ્સમાં (સૌથી સુરક્ષિત)
  • 20% થી 45%: ડેટ અને તેની સાથે જોડાયેલા રોકાણોમાં
  • 5% થી 15%: ઈક્વિટી અને ETF (શેરબજાર આધારિત ફંડ) માં
  • 5% સુધી: શોર્ટ ટર્મ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને અન્ય વિકલ્પોમાં

આ રોકાણનું સંચાલન SBI ફંડ મેનેજમેન્ટ, UTI AMC, નિપ્પોન લાઈફ ઈન્ડિયા અને ICICI પ્રુડેન્શિયલ જેવી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. વર્ષ 2015 થી EPFO એ શેરબજાર (ETF) માં રોકાણ શરૂ કર્યું છે, જે માર્ચ 2025 સુધીમાં લગભગ 10% સુધી પહોંચ્યું છે.



શું ભવિષ્યમાં બદલાશે રોકાણની પદ્ધતિ?
હા, બજારની સ્થિતિ અને સારા રિટર્નને ધ્યાનમાં રાખીને EPFO સમયસમય પર પોતાની રોકાણ નીતિ બદલતું રહે છે. ભવિષ્યમાં ETF (ઈક્વિટી) માં રોકાણ મર્યાદા વધારી શકાય છે. જોકે, EPFO નું કહેવું છે કે ખાતાધારકોને વધુ વ્યાજ આપવાની સાથે-સાથે સંસ્થા પાસે પૂરતું સરપ્લસ (અનામત ભંડોળ) જાળવી રાખવું પણ એટલું જ જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News